Site icon Revoi.in

રાજ્યના આઠ મ્યુનિ.કોર્પોરેશનને શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 311 કરોડ ફાળવાયા

Social Share

અમદાવાદઃ મહાનગરોની મ્યુનિ.કોર્પોરેશનોને કોરોનાને લીધે ખર્ચ વધી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે અમદાવાદ સહિત 8 મ્યુનિ.કોર્પોરેશનને  સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 311 કરોડની ગ્રાંટ ફાળવી દીધી છે.  ઉપરાંત જામનગરને ઐતિહાસિક ભૂજિયા કોઠોની મરામત માટે રૂ. 10 કરોડની વધારાની ગ્રાંટ પણ ચુકવવામાં આવી હોવાનું ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા મહાનગરોના વિકાસ માટે મ્યુનિ.કોર્પોરેશનને ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના હેઠળ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને રૂ. 115.25 કરોડ, સુરતને રૂ. 94.08 કરોડ, વડોદરા મ્યુનિ. કોર્પોરેશનને રૂપિયા 35.26 કરોડ, રાજકોટ  મ્યુનિ. કોર્પોરેશનને રૂપિયા 27.89 કરોડ, ભાવનગર  મ્યુનિ. કોર્પોરેશનને રૂ. 13.02 કરોડ, જામનગર મ્યુનિ. કોર્પોરેશનને રૂ. 12.34 કરોડ, જૂનાગઢ મ્યુનિ. કોર્પોરેશનને રૂ. 6.47 કરોડ, ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનને રૂ. 6.65 કરોડ મળીને કુલ રૂ. 311 કરોડ ચુકવવામાં આવ્યા છે.

ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, માહાનગરોમાં નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા ઉપરાંત નવા રોડ બનાવવા, માર્ગ પહોળા કરવા,ફુટપાથ બનાવવા સહિતના વિકાસના કામ માટે રકમ ફાળવાય છે. જામનગરમાં ભૂજિયા કોઠાની મરામત માટે રૂ. 10 કરોડ વધારાના ફાળવાયા હોવાનું મ્યુ.બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.