Site icon Revoi.in

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, અનેક વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ

Social Share

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. આ દરમિયાન તેમણે સરખેજ, ઓગણજ અને ભાડજ ગામના તળાવના નવીનીકરણ કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રીએ સરદાર પટેલ રીંગ રોડને અડીને આવેલા ભાડજ ગામના તળાવના બ્યુટીફીકેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત  કેન્દ્રીય ગૃહમંત્રીએ ઓગણજ ગામ ખાતે આવેલા તળાવના બ્યુટીફિકેશનનું પણ ખાતમહુર્ત કર્યું હતું. આ લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શહે જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલના નેતૃત્વમાં કાર્યરત રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાની સમગ્ર ટીમે નાગરિકોને માગ્યા પહેલા જ સુવિધાઓ આપી છે. સર્વસમાવેશી વિકાસના અભિગમની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે વિકાસ કાર્યોની ભેટમાં શહેરનો એક પણ વોર્ડ છૂટતો નથી. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જ છેલ્લા બાવન મહિનામાં 17,544 કરોડના ખર્ચે 11,000 વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે.

ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, એક કામ કરતા ૫૦ વર્ષ લાગે એવા ચાર કામ પીએમ નરેન્દ્રભાઇની આગેવાનીમાં માત્ર ત્રણ મહિનામાં થયા. તેમણે કહ્યું કે, વડાપ્રધાનની  આગેવાનીમાં G20 સમિટનું અભૂતપૂર્વ આયોજન વિશ્વ સ્તરે ખ્યાતિ પાત્ર બન્યું જેમાં સર્વાનુમતે દિલ્હી ડેકલેરેશનની સ્વીકૃતિ સૌ ભારતીયો માટે ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે, આફ્રિકન યુનિયનને G20 સંગઠનમાં સમાવી નરેન્દ્રભાઇએ ભારત વિકસિત અને વિકસતા દેશોની સાથે છે તેવો સંદેશ વિશ્વને આપ્યો છે. G20નું આવું સફળ આયોજન અન્ય દેશો માટે એક ચેલેન્જ બની જશે. એમ તેમણે ઉમેર્યું હતું. 

મિશન ચંદ્રયાનનો ઉલ્લેખ કરતા અમિતભાઇ શાહે કહ્યું કે, ચંદ્રયાન પર તિરંગો લહેરાતો નિહાળવો એ આપણા સૌનું સૌભાગ્ય છે. ઈસરોને વિશ્વની શ્રેષ્ઠ અવકાશ સંસ્થા બનાવવાનો લક્ષ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાખ્યો હોવાનું જણાવી તેમણે ઇસરોના કાયાપલટનો શ્રેય તેમને આપ્યો. અમિતશાહે  વધુમાં ઉમેર્યું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ માતૃશક્તિના સન્માનનું શ્રેષ્ઠ ઉદાહરણ નારી શક્તિ વંદના અધિનિયમ થકી આપ્યું છે. તેમણે કહ્યું કે આ કાયદાથી મહિલા શક્તિને નેતૃત્વમાં ભાગીદારી આપી મહિલા સન્માનના આપણા પ્રાચીન સંસ્કારોને કાયદાના વાઘા પહેરાવવામાં આવ્યા છે. નવી સંસદમાં પહેલું બિલ પસાર કરીને કેન્દ્ર સરકારે મહિલાઓનું સન્માન વધાર્યું છે એમ તેમણે ઉમેર્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે કુલ ચાર તળાવો સહિત પિંક ટોઇલેટ, ઓવરહેડ ટાંકી, ત્રાગડ ખાતે લલિતા ગોવિંદ ઉદ્યાન, કોમ્યુનિટી હોલ, એમ.એસ.પાઇપલાઇન સહિતના AMC અને ઔડાના વિકાસ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું.