Site icon Revoi.in

રાજકારણના દિગજ્જ ખેલાડી શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસમાં પુનઃરાગમન ક્યારે થશે ?

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે એટલે કે 2022માં યોજાવાની છે, ત્યારે ભાજપ સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ ત્રીજા મોરચા તરીકે મેદાનમાં આવશે. અને આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા સહિતના પદાધિકારીઓ બદલવા પક્ષનું હાઈકમાન્ડ મંથન કરી રહ્યુ છે. અને આગામી તા.27મી જુન સુધીમાં નિર્ણય લેવાય જશે. પ્રદેશ કોંગ્રેસના નવા માળખાની જાહેરાત સાથે જ શંકરસિંહ વાધેલાની કોંગ્રેસમાં પુનઃરાગમન થાય તેવી પુરી શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ભાજપ અને આમઆદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના બંગલે કોંગ્રેસની લંચ ડિપ્લોમસી બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણી પહેલાં આક્રમક વલણ અપનાવવા તથા મોંઘવારી સહિતના મુદ્દાઓ પર કાર્યક્રમો રજૂ કરવાની ચર્ચાઓ થઈ હતી. બીજી તરફ, કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું અવસાન થવાથી પક્ષ પાસે કોઈ કદાવર નેતા રહ્યા નથી, જેથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં પરત લાવવા માટે તખતો ગોઠવાઈ રહ્યો છે. કહેવાય છે કે, શંકરસિંહને કોંગ્રેસમાં પરત લાવવા માટે ભરત સોલંકી કવાયત કરી રહ્યા છે. આ માટે ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વચ્ચે ચાર વખત મુલાકાત થઈ ચૂકી છે. બાપુને પરત લાવવા માટે હાઈ કમાન્ડ નિર્ણય કરશે. તાજેતરમાં જ ભરતસિંહ સોલંકી દિલ્હી ગયા હતા.

ચાર મહિના અગાઉ શંકરસિંહ વાઘેલાએ ફેસબુક પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે સોનિયા ગાંધી મને વાતચીત કરવા બોલાવશે તો હું દિલ્હી જઈને તેમની સાથે ચર્ચા કરીશ. એ ઉપરાંત કોંગ્રેસ હાઈકમાન્ડ મને કહેશે તો હું વિનાશરતે અને સંકોચે કોંગ્રેસમાં જઈશ. કોંગ્રેસના નેતા અહેમદ પટેલનું જ્યારે અવસાન થયું અને તેમનો દેહ તેમના વતનમાં લાવવામાં આવ્યો ત્યારે હું સ્વાભાવિકપણે ત્યાં ગયો હતો. ત્યાં ઘણા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો મને ભેટીને રડી પડ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે હવે તમે કોંગ્રેસમાં પાછા આવી જાઓ. એ સમયે રાજકારણની કોઈ ચર્ચા કરવાનો કોઈ અવકાશ નહોતો. ત્યાર બાદ પણ અનેક કોંગ્રેસના આગેવાનોએ મને આગ્રહ કર્યો હતો કે હવે તમે કોંગ્રેસમાં આવી જાઓ તો સારું. આ અનુસંધાને મારો જવાબ એક જ છે. દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મારે વર્ષોથી સંબંધ છે. જ્યારે તે લોકો એવું કહેશે કે બાપુ રાજકીય રીતે તમારે શું કરવું જોઈએ, આવી વાતચીત કરવા માટે મને દિલ્હી બોલાવશે તો હું જરૂર ત્યાં જઈશ. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે હું જે પણ કંઈ કરી રહ્યો છું એમાં કોંગ્રેસ હાઈકમાન્ડ મને કહેશે તો હું દિલ્હી જઈને તેમની સાથે વાતચીત કરીને આગળ વધીશ. જો કોંગ્રેસ મને કહેશે કે કોંગ્રેસમાં આવો, તો હું વિનાશરતે કોંગ્રેસમાં જઈશ.