Site icon Revoi.in

ભાવનગર-અમદાવાદ વાયા વલ્લભીપુરના હાઈવેને ફોરલેન બનાવવાનું કામ ક્યારે પુરૂ થશે ?

Social Share

ભાવનગરઃ અમદાવાદ-ભાવનગરના વાયા ધોલેરા થઈને ટ્રાફિકમાં વધારો થતો જાય છે. જ્યારે અમદાવાદ-ભાવનગર વાયા વલ્લભીપુરનો હાઈવેને ફોર લેન કરવાની કામગીરી ઘમા સમયથી ખૂબજ ધીમી ગતિએ ચાલી રહી છે. ફેદરાથી ધંધુકા, બરવાળા, અને વલ્લભીપુર સુધીના આ હાઈવે પર પાલિતાણા અને અમરેલી જતો ટ્રાફિક પણ રહેતો હોય છે. આ હાઈવે પર ફોરલેનના કામને અઢી વર્ષ જેટલો સમય થવા આવ્યા છતા હજુ પુરૂ થયું નથી.વચ્ચે આવતા નદી નાળાના નવા બનતા બ્રીજના કામ પણ ગોકળગાયની ગતિએ ચાલતા હોય ડાયવર્ઝનને લીધે ટ્રાફીક જામની સમસ્યા હવે તો કાયમી બની ગઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ધંધુકા-બરવાળા-વલ્લભીપુર-ભાવનગર સ્ટેટ હાઇવેની ફોરલાઈનમાં રૂપાંતરિત કરવાની કામગીરી ખૂબ ઓછા સમયમાં પૂર્ણ થાય અને સંભવિત મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી ઘટતી કાર્યવાહી કરવા અને આ કામને વેગ આપવા માટે જાગૃત નાગરિકો દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયમાં રજુઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે માર્ગ અને મકાન વિભાગનાં કાર્યપાલક ઇજનેર,ભાવનગર દ્વારા ગત તા.16-12-19ના કામગીરી શરૂ કરવામાં આવેલી પરંતુ કામગીરી સદંતર ધીમી હોય કરાર રદ કરવાની ચીમકી આપતા ઇજારદાર દ્વારા પોતાના ખર્ચે અને જોખમે તા.15-06-22 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની બાંહેધરી આપી હતી. પરંતુ હજુ કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી..હાલ કાનપરથી લઇ મુળધરાઇ સુધી જ ફોરલેન કરવાનો છે.જયારે વલભીપુરથી વરતેજ ફાટક સુધીમાં પ્રથમ નવા બ્રીજ બનાવાનો પ્રોજેકટ હાથ ઉપર છે. બ્રીજ બની જાય પછી સરકારની મંજુરી મળે પછી ફોરલેનનું કામ શરૂ થશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ધંધુકા- બરવાળા- વલ્લભીપુર- ભાવનગર સ્ટેટ હાઇવેની ફોરલાઈનમાં રૂપાંતરિત કરવાની કામગીરી ચાલુ થયે અઢી વર્ષ કરતા વધુ સમય નીકળી ગયો છે આ કામગીરી ચાલુ થતા અનેક ડાયવર્ઝનો આપવામાં આવેલા છે અને તમામ ડાયવર્ઝનોની આજુબાજુનાં રસ્તા એકદમ ખરાબ હાલતમાં છે. ધંધુકાથી ભાવનગર જતા મુળધરાઈ ગામથી વરતેજ રેલવે ફાટક (45 કિમી અંતર) સુધીમાં 20 જેટલા ડાયવર્ઝનો આવે છે. આ ડાયવર્ઝનોને લીધે મુસાફરીમાં બમણો સમય જાય છે,એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવાને ખૂબ મોટી અસર પડે છે. અઢી વર્ષ દરમિયાન અનેક અકસ્માતો થતા રહ્યા છે.