નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં જાહેર કરવામાં આવેલા વચગાળાના વ્યાપાર સમજૂતીને લઈને વ્હાઇટ હાઉસે તેની ફેક્ટશીટમાં 24 કલાકની અંદર જ અનેક મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. 10 ફેબ્રુઆરીએ અપડેટ કરવામાં આવેલા આ દસ્તાવેજોમાં ભારતની તરફેણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે, જેનાથી ભારતીય ખેડૂતો અને સ્થાનિક બજાર પર તોળાતું જોખમ ટળ્યું છે.
9 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવેલી મૂળ ફેક્ટશીટમાં અમેરિકાથી આવતા કઠોળ (દાળ) પરના ટેરિફ ઘટાડવા અથવા હટાવવાની જોગવાઈ હતી. જોકે, સુધારેલી નવી ફેક્ટશીટમાં આ જોગવાઈ હટાવી દેવામાં આવી છે. આ ફેરફારથી ભારતીય ખેડૂતોને મોટી રાહત મળી છે, કારણ કે હવે તેમને સસ્તા અમેરિકન કઠોળ સામે સ્પર્ધા કરવાનું જોખમ રહેશે નહીં.
બીજો સૌથી મોટો ફેરફાર અમેરિકી ઉત્પાદનોની ખરીદીને લઈને કરવામાં આવ્યો છે. અગાઉના દસ્તાવેજમાં ભારત 500 બિલિયન ડોલરથી વધુના અમેરિકી ઉત્પાદનો ખરીદવા માટે “પ્રતિબદ્ધ” હોવાનું જણાવાયું હતું. પરંતુ હવે નવા સુધારામાં આ શબ્દ બદલીને “ખરીદવાનો ઈરાદો” કરી દેવામાં આવ્યો છે. આ ફેરફારને કારણે હવે આ ખરીદી ભારત માટે કાયદેસર રીતે ‘બિન-બંધનકર્તા’ બની ગઈ છે, જે ભારતની રણનીતિક જીત મનાય છે.
સુધારેલી ફેક્ટશીટમાં ડિજિટલ ક્ષેત્ર અને ડેટા સુરક્ષાને લઈને પણ ભારતની ચિંતાઓને સ્થાન આપવામાં આવ્યું હોવાનું મનાય છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પણ તાજેતરમાં ડેટા સાર્વભૌમત્વ મુદ્દે સરકારને ઘેરી હતી, ત્યારે અમેરિકા દ્વારા કરવામાં આવેલા આ સુધારા બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોમાં સંતુલન જાળવવા માટેના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
આ પણ વાંચોઃ ઓપરેશન સિંદૂરનો અસલી હીરો રાફેલ: એર માર્શલ નાગેશ કપૂર

