માનવ જીવનમાં 40 વર્ષની ઉંમર સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી એક અત્યંત મહત્વપૂર્ણ વળાંક માનવામાં આવે છે. આ ઉંમરે પહોંચ્યા પછી માનવ શરીરમાં અસંખ્ય જૈવિક (બાયોલોજિકલ) ફેરફારો થવા લાગે છે, જેમાં સૌથી મોટી અને સામાન્ય સમસ્યા વજન વધવાની છે. 40ની ઉંમર પાર કર્યા પછી વેટ મેનેજમેન્ટ અથવા વેટ લોસ કરવું એ મોટાભાગના લોકો માટે એક મોટો પડકાર કે મિશન બની જાય છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, આ ઉંમરે વજન વધવાનું મુખ્ય કારણ શરીરનું મેટાબોલિઝમ (પાચન ક્રિયા) ધીમું પડી જવું છે. સામાન્ય રીતે આ ઉંમર પછી પુરુષો અને મહિલાઓ બંનેમાં સ્નાયુઓનું પ્રમાણ ઘટવા લાગે છે, જે મેટાબોલિઝમને વધુ મંદ બનાવે છે. મોટાભાગના ભારતીયોમાં આ ઉંમરે હાથ અને પગના સ્નાયુઓ નબળા પડી જાય છે અને પેટનો ભાગ બહાર નીકળી આવવાની સમસ્યા વ્યાપકપણે જોવા મળે છે.
વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો, ઉંમરના આ પડાવ પર પહોંચ્યા પછી આપણું શરીર કેલરીને પહેલાની જેમ ઝડપથી બર્ન કરી શકતું નથી. આ શારીરિક બદલાવો વચ્ચે જો આહારમાં કેલરી બેલેન્સ પર ધ્યાન આપવામાં ન આવે, તો વજન ખૂબ જ ઝડપથી વધવા લાગે છે. 40 વર્ષની વય વટાવ્યા પછી વેટ લોસ કેમ મુશ્કેલ બને છે તેના પાછળ કેટલાક મુખ્ય કારણો જવાબદાર છે, જેમાં સૌથી મોટું કારણ સ્લો મેટાબોલિઝમ છે. જેમ જેમ ઉંમર વધે છે, તેમ તેમ મેટાબોલિઝમ કુદરતી રીતે ધીમું થાય છે અને લોકો પહેલા જેટલી ઉર્જા (એનર્જી) ખર્ચી શકતા નથી. પરિણામે શરીર રોજિંદા ધોરણ કરતાં ઓછી કેલરી બર્ન કરે છે. મુશ્કેલી એ છે કે લોકો જેવો આહાર 20 વર્ષની ઉંમરે લેતા હોય છે, તેવો જ આહાર 40ની ઉંમરે પણ ચાલુ રાખે છે. આના લીધે વધારાની કેલરી વપરાતી નથી અને તે શરીરમાં ચરબી (ફેટ) સ્વરૂપે જમા થવા લાગે છે.
હોર્મોનલ અસંતુલન
આ સિવાય સ્નાયુઓનું ઘટવું (મસલ્સ લોસ) પણ એક મોટું કારણ છે. 40ની વય પછી જો લોકો વેટ ટ્રેનિંગ કે કસરત ન કરે, તો સ્નાયુઓ ધીમે-ધીમે ઘટવા લાગે છે. વાસ્તવમાં સ્નાયુઓ ચરબીની તુલનામાં વધુ એનર્જી વાપરે છે, પરંતુ જો સ્નાયુઓ જ નબળા પડી જાય તો શરીર કેલરી બર્ન કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે. આ સાથે જ, શરીરમાં થતા હોર્મોનલ ફેરફારો પણ આડકતરી રીતે વજન વધારે છે. ખાસ કરીને મહિલાઓમાં જ્યારે પેરીમેનોપોઝ અને મેનોપોઝ (માસિક ધર્મ બંધ થવાનો સમય) ની શરૂઆત થાય છે, ત્યારે તેમના શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર ઝડપથી ઘટવા લાગે છે. આ હોર્મોનલ અસંતુલનને કારણે વજન નિયંત્રણ બહાર વહી જાય છે.
વધતી ઉંમર સાથે શારીરિક સક્રિયતા ઓછી થવી પણ વજન વધારવામાં ઘી હોમવાનું કામ કરે છે. 40ની ઉંમર વટાવ્યા પછી લોકો અગાઉ જેવી સ્ફૂર્તિ અનુભવતા નથી, જેને લીધે જીમમાં જવાનું તો દૂર, તેઓ પોતાના અંગત કામો માટે પણ અન્ય લોકો પર નિર્ભર રહેવા લાગે છે. આ આળસને કારણે રોજિંદી કેલરી બર્ન થતી નથી. ખાસ કરીને જે લોકો ૫૦ની ઉંમર વટાવી જાય છે, તેઓ એવું માની લે છે કે હવે તેમના શરીરમાં પહેલા જેવી તાકાત નથી રહી અને તેઓ મોટાભાગનો સમય બેસીને વિતાવે છે, જેનાથી ચરબીના થર જામવા લાગે છે.
અંતે, માનસિક તણાવ એટલે કે સ્ટ્રેસ પણ આ ઉંમરે વજન વધવાનું મોટું કારણ છે. 40 વર્ષની આસપાસ વ્યક્તિ પર પારિવારિક અને વ્યાવસાયિક જવાબદારીઓ બમણી થઈ જાય છે. બાળકોનો અભ્યાસ, વૃદ્ધ માતા-પિતાની સંભાળ અને કરિયરમાં આવતા ઉતાર-ચઢાવને કારણે મોટાભાગના લોકો સતત સ્ટ્રેસમાં રહે છે. આ માનસિક તણાવ અને તેના લીધે થતી અનિદ્રા (ઊંઘ ન આવવી) ની સમસ્યા શરીરમાં કોર્ટિસોલ નામના હોર્મોનને વધારે છે, જે સીધી રીતે વજન ઘટાડવાની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે છે.

