ન્યૂ દિલ્હી : તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને કોંગ્રેસ પાર્ટી સક્રિય થઈ ગઈ છે. મોટાભાગના એક્ઝિટ પોલ્સે તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ, પાર્ટીના ટોચના નેતાઓને સરકારની રચનાની કવાયતમાં વિલંબ ન કરવા સૂચના આપવામાં આવી છે.
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના સૂત્રોએ જણાવ્યું છે કે પાર્ટીના નેતાઓ સુશીલ કુમાર શિંદે, પી ચિદમ્બરમ અને રણદીપ સિંહ સુરજેવાલાને કોઈપણ સમયે હૈદરાબાદ જવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ સાથે વર્ચ્યુઅલ ઝૂમ મીટિંગ કરી હતી. જેમાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને રાજ્યમાં મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેલંગાણામાં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી લડી રહેલા તેના ઉમેદવારો અને એજન્ટોને પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે રવિવારે આખો દિવસ મતગણતરી કેન્દ્રો પર રહેવા કહેવા માં આવ્યું છે.
બેંગલુરુમાં શિવકુમારે કહ્યું કે કેટલાક લોકો તેલંગાણામાં ઉમેદવારોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, જો કે કોંગ્રેસ સ્થાનિક સ્તરે તેને કોઈપણ ભોગે રોકશે. મોટાભાગના એક્ઝિટપોલ માં તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બનવાની આગાહી કરવામાં આવી છે. આ પછી પાર્ટીના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોંગ્રેસ તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી જીતશે. 119 સભ્યોની રાજ્ય વિધાનસભા માટે 30 નવેમ્બરે ચૂંટણી યોજાઈ હતી.
ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમતી મળી અત્યાર સુધીના વલણો મુજબ કોંગ્રેસ 67 બેઠકો પર, BRS 39 પર, ભાજપ છ અને અન્ય સાત બેઠકો પર આગળ છે. 119 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે 60 બેઠકો જરૂરી છે.