ડેડીયાપાડા, 26 ફેબ્રુઆરી, 2026 – tribal pride celebration in Dediyapada નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગુરુવારે આદિવાસી ગૌરવ અભિવાદન સમારંભ યોજાયો હતો. આ દરમિયાન કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના 1000થી વધુ નેતાઓ-કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા.
પક્ષ દ્વારા જારી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ તથા બહેનોની ઉપસ્થિતિવાળા આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોન ઇન્ચાર્જ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવા, રાજ્ય સરકારના મંત્રી નરેશભાઈ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા સહિત સ્થાનિક ભાજપા આગેવાનઓ, આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
યુવા પેઢીએ તો માત્ર…
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ભગવાન બિરસા મુંડાને વંદન કરી વિશાળ આદિવાસી સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજની અતૂટ દેશભક્તિ ખરેખર વંદનીય છે. આજની ૨૫ વર્ષની યુવા પેઢીએ તો માત્ર ગુજરાતમાં ભાજપ અને નરેન્દ્રભાઇ મોદીનો ‘સુવર્ણયુગ’ જ જોયો છે, તેમને અગાઉના અન્યાયનો અંદાજ નથી. વડીલો સાક્ષી છે કે કોંગ્રેસના શાસનમાં રસ્તાઓ પર ખાડા નહીં પણ ખાડાઓમાં રસ્તા શોધવા પડતા હતા.
આદિવાસી વિસ્તારોમાં રોડ-રસ્તા કે વીજળી પહોંચાડવાની કોઈ દાનત જ નહોતી. કોંગ્રેસ માત્ર ચૂંટણી સમયે આદિવાસી, દલિત અને ખેડૂતોની વાતો કરીને મતો લૂંટતી હતી, જ્યારે નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં આવ્યા પછી જ આદિવાસી વિસ્તારના છેવાડાના ગામોમાં શિક્ષણ, આરોગ્ય અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ પહોંચી છે. આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી એ એક સિક્કાની બે બાજુ છે. આદિવાસી વિસ્તારોનો સાચો વિકાસ મોદીજીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના ‘સુવર્ણયુગ’માં જ શક્ય બન્યો છે.
હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી
રાજ્ય સરકારના બજેટ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત સરકારે આ વર્ષે બજેટમાં આદિવાસી અને વંચિતો માટે અનેક નૂતન આયામો ખોલ્યા છે. હવે આદિવાસી વિસ્તારોમાં નવા ટાવર ઊભા કરવામાં આવશે, જેથી નાનકડા ગામડાઓમાં પણ હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે.
કોંગ્રેસ – આપમાં ભંગાણ
પક્ષના આ કાર્યક્રમ દરમિયાન આજે કોંગ્રેસ અને આપના ૧૦૦૦થી વધુ કાર્યકર્તા આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આપ’ના પૂર્વ ઉમેદવાર ડૉ. પ્રફુલભાઈ વસાવા, એડવોકેટ રાજ વસાવા, કોંગ્રેસના આગેવાન અનવરભાઈ વસાવા અને શ્યામસિંહ વસાવા સહિતના આગેવાનો અને કાર્યકરોનું ભાજપાનો કેસરિયો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.
આદિવાસી ગૌરવ અભિવાદ સમારંભ પૂર્વે આયોજિત ભવ્ય રેલીના સમગ્ર રૂટમાં અનન્ય ઉત્સાહ સાથે આદિવાસી નાગરિકો ઉમટી પડ્યા હતાં. વિશાળ સંખ્યામાં નાગરિકોને રેલીમાં જોડાઈને નાયબ મુખ્યપ્રધાનનું સ્વાગત-અભિવાદન કર્યું હતું.

