નવી દિલ્હી, 17 જૂન, 2026 – ઇન્દ્રપ્રસ્થ વિશ્વ સંવાદ કેન્દ્ર તરફથી દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબના સ્પીકર હૉલમાં રવિવારે (16 જૂન 2026) દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર 12 પત્રકારો અને કન્ટેન્ટ ક્રિએટર્સને નવાજવામાં આવ્યા હતા.
દેવર્ષિ નારદ પત્રકાર સન્માન 2026થી સન્માનિત થયેલા પત્રકારોની પસંદગી પ્રક્રિયાની નિર્ણાયક સમિતિ (જ્યુરી) માં ડીડી ન્યૂઝના મહાનિદેશક મમતા વર્મા, અમર ઉજાલા ગ્રુપના વરિષ્ઠ સલાહકાર સંપાદક રાજ કિશોર, એનડીટીવી ઇન્ડિયાના પ્રબંધ સંપાદક રોહિત વિશ્વકર્મા, નેટવર્ક 18 ના ગ્રુપ એડિટર (કન્વર્જન્સ) બ્રજેશ કુમાર સિંહ, આઇટીવી નેટવર્કના મેનેજિંગ ડિરેક્ટર ઐશ્વર્યા પંડિત અને બ્લુ ક્રાફ્ટ ફાઉન્ડેશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હરીશ ચંદ્ર બર્ણવાલ સામેલ હતા. જ્યુરીએ તમામ એન્ટ્રીઓનું મૂલ્યાંકન કર્યા બાદ 12 શ્રેણીના વિજેતાઓની પસંદગી કરી હતી.
આ પત્રકારોને મળ્યું સન્માન:
ઓપઇન્ડિયાના વરિષ્ઠ સહ-સંપાદક પૂજા રાણાને – ઉત્કૃષ્ટ યુવા પત્રકાર
નો ધ નેશનના સંપાદક ગરિમા ઉપ્રેતીને – ઉત્કૃષ્ટ સ્ત્રી સરોકાર/મહિલા સંવેદના પત્રકારત્વ
કિસાન તકના હિમાની દીવાનને – ઉત્કૃષ્ટ ગ્રામીણ/પર્યાવરણ પત્રકારત્વ
ધ પેમ્ફલેટના પ્રભાત રંજન મિશ્રાને – ઉત્કૃષ્ટ સાહસિક પત્રકાર
પ્રભાસાક્ષીના સંપાદક નીરજ કુમાર દુબેને – ઉત્કૃષ્ટ ડિજિટલ પત્રકાર
દૈનિક જાગરણના નિહાલ સિંહને – ઉત્કૃષ્ટ પત્રકાર (પ્રિન્ટ)
પીટીઆઇ વીડિયોના ડૉ. રામ કિંકર સિંહને – ઉત્કૃષ્ટ પત્રકાર (ટીવી)
શાશ્વત પાણિગ્રાહીને – ઉત્કૃષ્ટ સ્તંભકાર (કોલમિસ્ટ)
હિન્દુસ્તાન સમાચારના સંપાદક રામાનુજ શર્માને – ઉત્કૃષ્ટ અભિનવ પત્રકાર
પબ્લિક મિત્રના વિમલ ત્યાગીને – ઉત્કૃષ્ટ કન્ટેન્ટ ક્રિએટર (યૂટ્યૂબ)
મયંક બાલિયાનને – ઉત્કૃષ્ટ કન્ટેન્ટ ક્રિએટર (એક્સ)
મનોજ્ઞા તિવારીને – ઉત્કૃષ્ટ કન્ટેન્ટ ક્રિએટર (ઇન્સ્ટાગ્રામ)
આ સમારંભમાં એનડીટીવીના સીઇઓ અને એડિટર-ઇન-ચીફ રાહુલ કંવલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં રાહુલ કંવલે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં પણ પત્રકારત્વની મૂળ ભાવનાને કોઈ ટેકનોલોજી બદલી શકતી નથી. તેમણે ઉમેર્યું કે દેવર્ષિ નારદની જેમ પત્રકારોએ પણ લોકોની વચ્ચે જઈને તેમની વાત સાંભળવી જોઈએ અને ઘટનાઓના સંદર્ભને સમજવો જોઈએ. આ માનવીય સંવેદનાઓ જ પત્રકારત્વની સૌથી મોટી શક્તિ છે.
સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે મુખ્ય વક્તા તરીકે કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પત્રકારોની જવાબદારી સમાજની સચ્ચાઈને સામે લાવવાની છે જેથી એક સકારાત્મક અને જાગૃત સમાજનું નિર્માણ થઈ શકે. તેમણે પત્રકારોને અપીલ કરી હતી કે તેઓ દરેક સમસ્યાને માત્ર રાજકીય દ્રષ્ટિકોણથી ન જુએ અને સમાચારોના માધ્યમથી રાષ્ટ્રીય હિતો તથા માનવતાના મૂલ્યોને મજબૂત કરવાનો પ્રયાસ કરે.
આ ઉપરાંત સંઘના અખિલ ભારતીય સહ-પ્રચાર પ્રમુખ નરેન્દ્ર ઠાકુર, દિલ્હી પ્રાંત પ્રચારક વિશાલ અને દિલ્હી પ્રાંત સહ-કાર્યવાહ રાજેશ કુમાર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

