Site icon Revoi.in

એમ.એસ.યુનિવર્સિટીમાં બહારગામના 3000 છાત્રોનો પ્રવેશ પણ હોસ્ટેલમાં જગ્યા 1400ને જ મળશે

Social Share

વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે બહારના વિદ્યાર્થીઓની સંખ્યા સવિશેષ હોય છે. એટલે કે સ્થાનિક કરતા બહારગામના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય છે. પરંતુ યુનિ. પાસે હોસ્ટેલની પુરી સુવિધા જ નથી. તેથી બહારગામના વિદ્યાર્થીઓને નાછૂટકે પીજીમાં કે મકાન ભાડે રાખીને રહેવાની ફરજ પડી રહી છે. યુનિ.માં 3000થી વધુ બહારગામના વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. સામે યુનિની હોસ્ટેલમાં માત્ર 1400ને પ્રવેશ આપી શકાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી હોસ્ટેલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને પરેશાનીનો સમાનો કરી રહ્યા છે. કોમર્સમાં સંખ્યા વધારે હોવા છતાં માત્ર 250 બેઠકો, આર્ટસમાં પણ 241 બેઠકો ફાળવવામાં આવી છે. હોસ્ટેલમાં પ્રવેશ આપવા માટે કોઇ પોલીસી ફેકલ્ટી સ્તરે નક્કી કરવામાં આવી નથી. જેના કારણે સમસ્યા ઉભી થઇ રહી છે.એમ.એસ.યુનિ. હોસ્ટેલમાં 12 બોયઝ અને 4 ગર્લ્સ હોસ્ટેલ છે. જેમાં 5 હજાર વિદ્યાર્થીઓને સમાવી શકાય તેવી ક્ષમતા છે. 5 હજાર બેઠકમાંથી 3600 વિદ્યાર્થીઓએ તેમના હોસ્ટેલ એડમીશન રિન્યુ કરાવ્યા છે. જેથી બાકી બચેલી 1400 બેઠકોને 14 ફેકલ્ટી વચ્ચે ફાળવામાં આવશે. જેમાં સૌથી મોટી ફેકલ્ટીઓ કોમર્સમાં 250, આર્ટસમાં 241, સાયન્સમાં 260, ટેકનોલોજીમાં 380 બેઠકો ફાળવવામાં આવી છે. ચાર ફેકલ્ટીની મળીને કુલ 1 હજાર બેઠકો ફાળવી દેવામાં આવી છે. અન્ય ફેકલ્ટીઓમાં 500 બેઠકો ફળવાઇ છે. વિદ્યાર્થીઓના સંખ્યાબળની દષ્ટીએ મોટી ગણાતી ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે સમસ્યા ઊભી થઇ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, બહારગામના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ ન મળવાને કારણે ઘણા વિદ્યાર્થીઓને પીજીમાં પ્રવેશ લેવાનો વારો આવ્યો છે. એફવાયમાં સમગ્ર યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાંથી 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ જે બહાર ગામના હશે તેમણે પ્રવેશ લીધો છે. જેમાંથી 1500 કરતાં વધારે વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ મળી શકશે નહિ. આર્ટસ ફેકલ્ટીમાં હોસ્ટેલમાં પ્રવેશ માટે 75 ટકા ગુજરાત બહારના વિદ્યાર્થીઓ અને 25 ટકા ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. કોમર્સ ફેકલ્ટીમાં પણ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ માટે સમસ્યા ઊભી થઇ છે. આ સંદર્ભના યુનિના સત્તાધિશોએ જણાવ્યું હતું કે,  સમરસ હોસ્ટેલમાં અને એમ.એસ.યુનિ.ની હોસ્ટેલમાં પ્રવેશ લીધો હોય તેવા છાત્રો માટે ક્રોસ વેરીફીકેશન થશે. સમરસમાં પ્રવેશ લીધો હશે તો તેવા વિદ્યાર્થીઓને કોઇ પણ એક જગ્યાનો પ્રવેશ છોડવા માટે સમજાવામાં આવશે. જેથી વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય તેવા પ્રયાસો કરવામાં આવશે.