Site icon Revoi.in

કોરોનાના કેસમાં ઘટાડો થતાં અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 99 બેડ ખાલી

Social Share

અમદાવાદઃ શહેરમાં એક સમય એવો હતો કે, કોરોનાનો ભોગ બનેલા દર્દીઓને સરકારી કે ખાંનગી હોસ્પિટલોમાં બેડ મળતી નહતી, ઘણા દર્દીઓને ઓક્સિજન મળતો નહતો, રેડસિમીર સહિતની દવાઓ દર્દીઓને મળતી નહતી. અને કેસ એટલા બધા વધ્યા હતા કે કોણ કોની ખબર પૂછે એવો ઘાટ સર્જાયો હતો. જોકે છેલ્લા સવા મહિનાથી કોરોનાના કેસમાં ઉત્તરોતર ઘટાડો થઈ રહ્યો છે. હવે બીજી લહેર લગભગ પૂરી થઈ છે. શહેરની સરકારી અને ખાનગી મળી તમામ હોસ્પિટલોમાં કોરોનાના માત્ર 146 દર્દી છે. ખાનગી હોસ્પિટલોમાં તો 99 ટકા સુધી બેડ ખાલી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના કુલ 4392 બેડમાંથી હાલ માત્ર 46 બેડ ભરેલા છે. છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસ 50ની અંદર જ આવી રહ્યા છે. આને કારણે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે શહેરમાં કોરોનાના મોટાભાગના દર્દી હોમ આઇસોલેશનમાં છે. ખાનગી હોસ્પિટલોમાં આઇસીયુ બેડ પણ લગભગ ખાલી પડ્યા છે. પરિસ્થિતિમાં સુધારો થવા સાથે હવે એક્ટિવ કેસની સંખ્યા પણ 1224એ પહોંચી ગઈ છે. એસવીપીમાં 476 બેડમાંથી માત્ર 24 ભરેલા છે જ્યારે એલજી હોસ્પિટલમાં હવે કોરોનાનો એક પણ દર્દી રહ્યો નથી.

તબક્કાવાર રીતે કેસો ઘટતાં ખાનગી 176 કોવિડ હોસ્પિટલોએ વિશેષ કોવિડ દરજ્જો પરત કરી તમામ રોગની સારવાર શરૂ કરી છે. શહેરમાં 4392 જેટલા કોરોના માટેના ખાનગી બેડ ઉપલબ્ધ રહ્યા છે. તેમજ હવે માંડ જોડાણ ધરાવતી હોસ્પિટલનો આંક પણ 100થી નીચે પહોંચ્યો છે. શહેરમાં હવે સરકારી હોસ્પિટલમાં જ મ્યુકરના 300થી વધુ દર્દીઓ છે. સિવિલમાં મ્યુકરના 260 કેસ જ્યારે એલજીમાં 30 દર્દી દાખલ છે. ખાનગી હોસ્પિટલમાં પણ મ્યુકરના કેટલાક દર્દી દાખલ છે. માત્ર સિવિલ અને એલજીમાં કોરોના કરતાં વધારે દર્દીઓ માત્ર બે હોસ્પિટલમાં જ દાખલ છે. શહેરમાં કોરોની બીજી લહેર હવે લગભગ પૂર્ણતાને આરે છે.