Site icon Revoi.in

સુરેન્દ્રનગરના દસાડા નજીક કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ચારના મૃત્યુ

Social Share

અમદાવાદઃ સુરેન્દ્રનગરના દસાડા નજીક હાઈવે ઉપર મોટરકાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર સાથે કાર અથડાયા બાદ રોડની સાઈડમાં અથડાયા બાદ ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ હાઈવે પરથી કાર પસાર થઈ રહી હતી. દરમિયાન ટ્રેલર સાથે કાર અથડાયા બાદ રોડની સાઈડમાં ઉતરીને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે કારમાં સવાર વ્યક્તિઓની મરણચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ બનાવને પગલે સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી.

મોટરકાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. પોલીસ દ્વારા સ્થાનિકોની મદદથી તમામ મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો મોરબીના હોવાનું જાણવા મળે છે. પોલીસે આ ઘટના અંગે મૃતકોના પરિવારજનોને પણ જાણ કરી હતી.

સમગ્ર ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતમાં ચાર વ્યક્તિઓના કરૂણ મોતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે.

દરમિયાન ગઈકાલે ભાવનગર-અમદાવાદ હાઈવે પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા, જ્યારે 15થી વધુ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.