- યુ.સી.ડી. વિભાગ દ્વારા અમદાવાદમાં ઘરવિહોણા લોકો માટે ૩૫ આશ્રયગૃહો ૨૪ કલાક કાર્યરત
- રોડ, ફુટપાથ અને બ્રિજ નીચે રહેનારને સુરક્ષિત આશ્રય મળે એ ઉદ્દેશ સાથે AMCની ખાસ ડ્રાઇવ
અમદાવાદ, 19 ડિસેમ્બર, 2025ઃ homeless people provided safe shelter અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુ.સી.ડી. વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં જુદા જુદા ઝોન અને વોર્ડ વિસ્તારમાં કુલ ૩૫ આશ્રયગૃહો ૨૪ કલાક કાર્યરત રાખવામાં આવ્યા છે.
સરકાર દ્વારા સંચાલિત આશ્રયગૃહોમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર ઘરવિહોણા લોકોને નિઃશુલ્ક આશ્રય આપવામાં આવી રહ્યો છે. આશ્રયગૃહોની કુલ ક્ષમતા ૪,૩૧૫ જેટલી છે, જેમાં સરેરાશ ૮૦ ટકા ઓક્યુપન્સી જળવાઈ રહી છે. ખુલ્લા આકાશ નીચે, ફુટપાથ ઉપર અથવા જાહેર જગ્યાઓ પર જોખમી રીતે રહેતા ઘરવિહોણા લોકોને માનવીય અભિગમ સાથે સુરક્ષિત આશ્રય પૂરો પાડવામાં આવી રહ્યો છે.
શા માટે કરવામાં આવે છે આ ડ્રાઈવ?
શિયાળાની ઋતુ દરમિયાન વધતી ઠંડીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઇવ અંતર્ગત રોડ, ફુટપાથ, બ્રિજ નીચે તેમજ જાહેર સ્થળોએ જોખમી રીતે વસવાટ કરતા ઘરવિહોણા લોકો સુધી ટીમ જઈ તેમને સમજાવી કાઉન્સેલિંગ કરીને નજીકના આશ્રયગૃહોમાં ખસેડવામાં આવે છે.
દરરોજ સવારે, બપોરે, સાંજે તથા રાત્રી દરમિયાન આ કામગીરી કરવામાં આવી રહી છે. તમામ ઝોનમાં ડ્રાઇવ વ્હીકલ અને સુરક્ષા સ્ટાફ સાથે ડ્રાઇવ ચલાવવામાં આવે છે તેમજ ઝોનવાઇઝ એકાંતરા દિવસે AMTS બસ તથા દબાણની ગાડી સાથે નાઈટ ડ્રાઇવ પણ યોજવામાં આવે છે.
તા. ૦૧/૦૪/૨૦૨૫ થી તા. ૧૪/૧૨/૨૦૨૫ દરમ્યાન સમગ્ર શહેરમાં ચાલેલી આ ડ્રાઇવ દરમિયાન ફુટપાથ, બ્રિજ નીચે, રોડ ઉપર, બગીચા તથા જાહેર સ્થળોએ રહેતા કુલ ૮,૪૩૧ ઘરવિહોણા લોકોને આશ્રયગૃહોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જેમાં ૭,૪૮૮ પુરુષ, ૬૦૯ સ્ત્રીઓ અને ૩૩૪ બાળકોનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને યુ.સી.ડી. વિભાગ હેઠળ વિવિધ એન.જી.ઓ દ્વારા સંચાલિત આશ્રયગૃહોમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે.
આ આશ્રયગૃહોમાં આશ્રિતોની સુવિધા માટે ટુ-ટાયર બેડ સાથે સ્ટોરેજ, ઓઢવા માટે ધાબળા અને ઓશિકા, પીવાનું શુદ્ધ પાણી, શિયાળાની ઋતુમાં ગરમ પાણી માટે ગીઝર, રસોઈ બનાવવાની અને ભોજન પીરસવાની સુવિધા, ગેસ જોડાણ, નજીકના આંગણવાડી કેન્દ્રો તથા સરકારી શાળાઓ સાથે જોડાણ, ફાયર સેફ્ટી સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ઉપરાંત આશ્રયગૃહોમાં રહેતા ઘરવિહોણા લોકોનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે તેમજ તમામ આશ્રિતોને કોર્પોરેશનના ભંડોળમાંથી દરરોજ એક વખત ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ સાંજનું ભોજન નિઃશુલ્ક પૂરૂં પાડવામાં આવે છે.

