Site icon Revoi.in

અમદાવાદ મસ્કતી મહાજન કાપડ માર્કેટમાં ખરીદી માટે બહારગામના વેપારીઓ ન આવતા મંદીનું ગ્રહણ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની બીજી લહેરને લીધે ધંધા-ઉદ્યોગોની માઠી દશા બેઠી છે. દરેક વેપારીઓ વ્યાપક મંદીની બુમ મારતા જોવા મળી રહ્યા છે. શહેરના મસ્કતી કાપડ માર્કેટમાં માલની નવી ઈન્કવાયરી ઠપ થઈ ગઈ છે.વેપારીઓ પોતાના કારોબારને પણ ધીમે ધીમે આગળ ધપાવી રહ્યા છે. હાલમાં ગ્રે અને કાપડ બજારમાં શિથિલતા જોવા મળી રહી છે. હાલમાં મસ્કતી માર્કેટમાં બહારગામથી આવનારા વેપારીઓની અવરજવર બંધ થઇ ગઇ છે. લોકોને ઓનલાઇન જ સેમ્પલ આધારિત વેપાર થઇ રહ્યો છે.

શહેરના મસ્કતી કાપડ મહાજનના વેપારી સૂત્રોના કહેવા મુજબ હાલમાં કોઇ ઇન્ક્વાયરી નથી ભાવ ઘટતા નથી. અગાઉ જે માલ વેચ્યા હતા તેમાં 50થી 70 ટકા લોકો તૈયાર કાપડમાં જૂની ડિલિવરી સ્વીકારી રહ્યા છે. આગળના અનુભવથી લોકો એવું સમજ્યા છે કે આ ગંભીર પરિસ્થિતિનું સર્જન થયું છે તે થોડો સમય સુધી ચાલશે, પછી પરિસ્થિતિમાં સુધારો થશે, ત્યારે માલનો ઉપાડ થશે. તેમજ હાલમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિનો સામનો કરતા મહારાષ્ટ્રમાંથી પેમેન્ટ મળવામાં મુશ્કેલી થઇ રહી છે પરંતુ બાકીના રાજ્યોમાંથી પેમેન્ટ આવી રહ્યા છે. પરંતુ આવુને આવુ લાંબા સમય સુધી ચાલશે તો પેમેન્ટ ફસાઇ જવાની પૂરેપૂરી વકી છે.

હાલમાં ધારણા અનુસાર લાગે છે કે પ્રવર્તમાન પરિસ્થિતિ થોડા દિવસમાં થાળે પડી જશે અને રમઝાન મહિનાની ઘરાકીનો લાભ દરેક રિટેલરને મળશે તેમ લાગે છે. જો તેમ થશે તો લોકોના સેન્ટીમેન્ટ સુધરશે અને દિવાળીમાં સારી ઘરાકીની આશા બંધાશે. પાછલા વર્ષના લોકડાઉનથી હવે લોકો સમજી ગયા છે કે માલ હશે તો જ વેચાશે, તેથી ગારમેન્ટરો પણ થોડો થોડો માલ બનાવવાનું ચાલુ જ રાખ્યુ છે. કામકાજ ભલે ઓછા દેખાય પરંતુ લોકો ઘરે કારીગરોને ઘરે કામ આપે છે.

હાલમાં મસ્કતી માર્કેટમાં બહારગામથી આવનારા વેપારીઓની અવરજવર બંધ થઇ ગઇ છે. લોકોને ઓનલાઇન જ સેમ્પલ આધારિત વેપાર થઇ રહ્યો છે.