Site icon Revoi.in

શત્રુના કોઈ પણ દુ:સાહસનો જડબાતોડ જવાબ આપવા વાયુસેના સંપૂર્ણ સજ્જ: એર ચીફ માર્શલ એ.પી.સિંહ

Social Share

નવી દિલ્હી: ભારતીય વાયુસેના (IAF)ના પ્રમુખ એર ચીફ માર્શલ એ પી સિંહે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના કોઈ પણ શત્રુ દેશના દુ:સાહસનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વર્ષ 1971માં પાકિસ્તાન પર ભારતના વિજયની યાદમાં ઉજવાઈ રહેલા વિજય દિવસના અવસરે આયોજિત એર શોમાં ભાગ લેતા એર ચીફ માર્શલ સિંહે કહ્યું હતું કે ભારતીય વાયુસેના પાછલા અનુભવોના આધારે તેની ‘સ્ટીલ્થ’ ક્ષમતા અને વ્યૂહરચનામાં સતત સુધારો કરી રહી છે. તેમણે પત્રકારોને સ્પષ્ટપણે કહ્યું, “જો કોઈ શત્રુ રાષ્ટ્ર કોઈ પણ પ્રકારનું દુ:સાહસ કરે છે, તો અમે તેને જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.”

એર ચીફ માર્શલ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની કટોકટી ઊભી થાય તો ભારત, અને વિશેષરૂપે ભારતીય વાયુસેના, બે મોરચે યુદ્ધ લડવા માટે સજ્જ છે. તેમણે 1971ના યુદ્ધમાં ભારતીય વાયુસેનાના યોગદાનને યાદ કરતાં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનારા પગલાં પર પ્રકાશ પાડ્યો હતો. સિંહે કહ્યું હતું કે, “ભારતીય વાયુસેનાએ જે દ્રઢતાથી પોતાનું કાર્ય કર્યું, પછી તે નવેમ્બરમાં દિવસના સમયે ચલાવવામાં આવેલા અભિયાનો હોય, અંતિમ પ્રહારો હોય કે બાંગ્લાદેશમાં રાજ્યપાલ ભવન પર હુમલો હોય, તેણે નિર્ણાયક રીતે યુદ્ધનો અંત લાવ્યો હતો.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય સશસ્ત્ર દળોની તે 13 દિવસની ઝડપી કાર્યવાહીમાં પાકિસ્તાન દબાણમાં ઝૂક્યું હતું અને યુદ્ધવિરામ માટે અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “આ અભિયાન માત્ર ભારતીય વાયુસેના માટે જ નહીં, પરંતુ સંયુક્ત કાર્યક્ષમતાની પણ એક મોટી ઉપલબ્ધિ હતી. નદી પાર કરવા અથવા હવાઈ માર્ગે સામાન છોડવા જેવા સુનિયોજિત અભિયાનો સેના અને વાયુસેના વચ્ચેના ગાઢ સંકલન વિના શક્ય નહોતા.” વાયુસેના પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નૌકાદળ સહિત ત્રણેય સેનાઓએ સક્રિય ભાગીદારી સાથે મળીને જે રીતે કામ કર્યું, તેનાથી એક મહત્ત્વપૂર્ણ પાઠ મળ્યો કે સંયુક્ત અભિયાન યુદ્ધમાં મોટા પાયે વિજય અપાવી શકે છે.

Exit mobile version