અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મતદારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. તેમજ સુરત કોર્પોરેશનમાં પ્રજાએ આપને વિપક્ષની જવાબદારી સોંપી છે. જેથી હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો વ્યાપ વધારવા ઈચ્છી રહી છે. એટલું જ નહીં તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવેલા આપના વડા અરવિંદ કેજરિવાલે 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. દરમિયાન આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા સુરતની મુલાકાતે આવ્યાં છે. તેમજ તેઓ બપોરના સ્થાનિક સામાજીક આગેવાનો અને ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર મનિષ સિસોદિયા સવારે હવાઈ માટે સુરત આવ્યાં હતા. એરપોર્ટ ઉપર આમ આદમી પાર્ટીના ગુજરાતના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ ઉમટી પડ્યાં હતા. જ્યાંથી મનિષ સિસોદિયા સરકીટ હાઉસ ગયા હતા. જ્યાં તેઓ આપના આગેવાનો સાથે બેઠક કરશે. આ ઉપરાંત તેઓ સ્થાનિક આગેવાનો અને ઉદ્યોગપતિઓ સાથે જ બેઠક કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આમ આદમી પાર્ટીએ હવે ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.