Site icon Revoi.in

કચ્છની દરિયાઈ સીમા ઉપર નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા ATSની ચાંપતી નજરઃ હર્ષ સંઘવી

Social Share

અમદાવાદઃ કચ્છ અને ભાવનગર જિલ્લામાં નશીલા પદાર્થોના જથ્થાને પકડવા લેવાયેલ પગલા અંગેના પ્રશ્નના ઉત્તરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પકડાતા નશીલા પદાર્થો તેમજ દારૂ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ ‘પકડાતા ‘નથી પરંતુ ગુજરાત પોલીસની સતર્કતાથી ‘પકડવા’માં આવે છે. કચ્છની દરિયાઈ સીમા ઉપર ગુજરાત પોલીસ એ.ટી.એસ. ટીમ સતત રાત દિવસ કામગીરી કરી રહી છે. 

મંત્રીએ દરિયાઈ ઓપરેશન દરમિયાન એ.ટી.એસ .ટીમ દ્વારા થતી કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે, કંડલા પોર્ટ ઉપર ઈરાનથી આવેલ એક કનસાઈનમેન્ટમાંથી 205.6 કિલો હેરોઇન જેની કિંમત રૂ.1028 કરોડ તથા પીપાવાવ પોર્ટ ખાતે એક કન્ટેનરમાંથી કુલ 395 કિલો જેમાંથી 90 કિલો હિરોઈનની કિંમત રૂ.450 કરોડ થવા જાય છે.  તપાસ એજન્સીઓ મારફતે કુલ 858 કિલો જેટલો નશીલો પદાર્થ પકડવામાં આવ્યો છે. જેની કિંમત અંદાજિત રૂ.4487 કરોડ થવા જાય છે. એટલું જ નહીં, આ હેરાફેરીમાં સંડોવાયેલ ૩૮ પાકિસ્તાની ,પાંચ ઈરાની, ત્રણ અફઘાની, બે નાઇજિરિયન તેમજ 9 ભારતીયો સહિત 57 આરોપીઓની ધરપકડ કરી આજીવન જેલના હવાલે કરવામાં આવ્યા છે. 

હર્ષ સંઘવીએ  ગુજરાતમાં નશીલા પદાર્થો સહિતની પ્રતિબંધિત વસ્તુઓ સામે  કરવામાં આવતી કાર્યવાહી માટે રાજ્યની જનતાને સરકાર તેમજ પ્રજાના પ્રતિનિધિઓ પાસે ખૂબ અપેક્ષા છે ત્યારે આ બાબતે રાજનીતિ નહીં પણ રાજ્યની પોલીસને સહયોગ આપવા ખાસ અપીલ કરી હતી.