Site icon Revoi.in

કેન્દ્રના ભારતમાલા પ્રોજેક્ટમાં જમીનનું પુરતુ વળતર ન મળતા બનાસકાંઠાના ખેડુતોનો વિરોધ

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના થરાદ ,સૂઇગામ અને વાવમાંથી પસાર થતાં કેન્દ્ર સરકારના ડ્રિમ પ્રોજેકટ ભારતમાલાનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે ખેડૂતોની વ્હારે બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યોએ આવીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ચીમકી ઉચ્ચારી હતી કે, ખેડૂતોને યોગ્ય વળતર નહિ મળે તો અમે ભારતમાલાનું કામકાજ બંધ કરાવીને હાઇકોર્ટેમાં જઈશું. ભારત સરકારનો ડ્રિમ પ્રોજેકટ ભારતમાલા બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ, સુઇગામ અને થરાદમાંથી પસાર થાય છે. જેમાં ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી 489 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાના થરાદ, સુઈગામ, અને વાવ વિસ્તારમાં કેન્દ્ર સરકારના ભારતમાલા પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં આવી રહી છે. જો કે આ પ્રોજેકટમાં જંત્રીના ભાવે ખેડૂતોની મોંઘી જમીન સસ્તા ભાવે સંપાદન કરી પડાવી લેતા ખેડૂતોની હાલત કફોડી બનતાં ખેડૂતો હવે બીજે ક્યાંય જમીન લઈ શકે તેમ નથી તો પશુપાલનનો વ્યવસાય કરી શકે તેમ ન હોવાથી તેવો આ પ્રોજેકટનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે ખેડૂતોની વ્હારે બનાસકાંઠા કોંગ્રેસના તમામ ધારાસભ્યો આવ્યા છે.

કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતો સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને આક્ષેપ લગાવ્યો હતો કે, આ પ્રોજેકટમાં ખેડૂતોને અન્યાય થયો છે તેમની મહામુલી જમીન સસ્તા ભાવે લઈ લેવાઈ છે. જેથી ખેડૂતો હવે બીજે જમીન લઈ શકે તેમ નથી. તેમના ઘર છીનવાઈ રહ્યા છે તો બીજી બાજુ કોન્ટ્રાક્ટરો દ્વારા અનેક ગામોના તળાવો ખોટી રીતે ખુબજ ઊંડા ખોદી દેવાયા છે.  મોટાપ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરાયો છે તો આ રોડની વચ્ચેથી પ્રસાર થવાના માર્ગ પણ અપાયા નથી, ખેડૂતોને બીજી તરફ જવાનો રસ્તો પણ અપાયો નથી તેથી જો ખેડુતોને યોગ્ય વળતર નહિ મળે અને યોગ્ય કામ નહીં કરાય તો ધારાસભ્યોએ કામ બંધ કરાવવાની અને હાઇકોર્ટેમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. ખેડુતોની મોંઘી જમીન ખુબજ ઓછું વળતર આપીને સંપાદન કરી લેવાઈ છે ખેડૂતો સાથે અન્યાય કરાયો છે તેવી રજુઆત કરવામાં આવી છે.

જિલ્લાના અનેક ખેડૂતોની સોનાના ભાવની જમીનો ખુબજ નજીવી કિંમતે ભારતમાલા પ્રોજેકટમાં લઇ લેતા હવે ખેડૂતોની જમીનોની સાથે સાથે તેમના મકાનો પણ છીનવાઈ રહ્યા છે. ખેડૂતોને પશુપાલનનો વ્યવસાય પણ છોડવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં ખેડૂતો તેમજ ખેડૂત આગેવાનો આ પ્રોજેકટનો સખ્ત વિરોધ કરી રહ્યા છે. માંગ કરી રહ્યા છે કે, ખેડૂતોને તેમની જમીનનું પૂરેપૂરું વળતર આપે તેમજ ભારતમાલા પ્રોજેકટમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં આવે. જેથી આ વિસ્તારના લોકોને તકલીફ ના પડે. જોકે ખેડૂતોને હવે કોંગ્રેસના ધારાસભ્યોનો સાથ મળી જતા હવે ખેડૂતો કોઈપણ ભોગે  પોતાની સોના જેવી જમીનો સસ્તા ભાવમાં આપી દેવા તૈયાર નથી. જેને લઈને તેવો હવે હાઇકોર્ટેના દ્વાર ખખડાવવાની તૈયારીઓ કરી રહ્યા છે.