નવી દિલ્હી, 16 જુલાઈ 2026: દેશની સરહદો પર મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વ પર ભાર મૂકતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, ભવિષ્યના ટેકનોલોજી આધારિત યુદ્ધોમાં માત્ર આધુનિક હથિયારો જ નહીં, પરંતુ સરહદી રસ્તાઓ, ટનલ, એરફિલ્ડ અને બંદરો પણ એટલા જ નિર્ણાયક સાબિત થશે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (BRO) ના સ્ટ્રેટેજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ક્લેવમાં સંબોધન કરતા તેમણે આ વાત કહી હતી.
“ઘણી વખત યુદ્ધની પ્રથમ લડાઈ સરહદ પર નહીં, પરંતુ તે રસ્તા પર શરૂ થાય છે જે સૈનિકોને મોરચા સુધી પહોંચાડે છે. તેથી, સરહદ પર રસ્તો બનાવનાર દરેક શ્રમિક અને એન્જિનિયર પણ દેશની સુરક્ષામાં તૈનાત સૈનિક જેટલો જ મહત્વપૂર્ણ છે.” તેમ કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું.
- ‘વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ દ્વારા છેવાડાના ગામોનો વિકાસ
સંરક્ષણ મંત્રીએ BRO ની કામગીરીની પ્રશંસા કરતા અટલ ટનલ, ઉમલિંગ લા અને સેલા ટનલ જેવી પડકારજનક પરિયોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે સરકારનો લક્ષ્ય દેશના દરેક અંતરિયાળ વિસ્તારને ડિજિટલ અને ફિઝિકલ કનેક્ટિવિટીથી જોડવાનો છે. ‘વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ હેઠળ સરહદ પરના ગામોને હવે “દેશના છેલ્લા ગામ” તરીકે નહીં, પરંતુ “દેશના પ્રથમ ગામ” તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે.
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ પ્લાનિંગનો ઉપયોગ
આ પ્રસંગે BRO ના મહાનિદેશક લેફ્ટનન્ટ જનરલ હરપાલ સિંહે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં વ્યૂહાત્મક ક્ષમતા માત્ર નિર્માણની ઝડપથી નહીં, પરંતુ સ્માર્ટ પ્લાનિંગ અને આધુનિક તકનીકોથી નક્કી થશે. BRO હવે ડિજિટલ પ્લાનિંગ, AI આધારિત સોલ્યુશન્સ અને અદ્યતન મશીનરીનો ઉપયોગ કરી રહ્યું છે. આ દરમિયાન પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને ભરતી પ્રક્રિયા માટે બે નવા ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યા હતા, તેમજ પ્રથમ વખત ‘BRO એન્થમ’ (રાષ્ટ્રગીત જેવું સંગઠન ગીત) પણ જારી કરાયું હતું.

