Site icon Revoi.in

હિમાચલમાં આફત પીડિતોને જરુરી મદદની છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલની જાહેરાત

Social Share

રાયપુરઃ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે હિમાચલ પ્રદેશના આપત્તિ પીડિતોની મદદ માટે 11 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. બઘેલે આજે ટ્વીટ કરીને આ રકમની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમે બધા છત્તીસગઢના રહેવાસીઓ આ સંકટમાં હિમાચલના લોકો સાથે ઉભા છીએ. તેમણે હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ સાથે ફોન પર વાત કરી અને કહ્યું કે તેમની સરકાર રાજ્યના આપત્તિ પીડિતોની સાથે છે. તેમણે સુખુ પાસેથી હિમાચલ પ્રદેશની સ્થિતિ વિશે માહિતી લીધી હતી. બઘેલે તેમને કહ્યું કે, આખો દેશ હિમાચલ પ્રદેશના લોકોની સાથે છે. આપણે બધા સામૂહિક એકતા સાથે આપત્તિનો સામનો કરીશું અને સામાન્ય સ્થિતિની પુનઃસ્થાપના માટે કામ કરીશું.

હિમાચલ પ્રદેશમાં, ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે છેલ્લા બે મહિનામાં 325 થી વધુ લોકોના મોત થયા છે અને 30 થી વધુ લોકો લાપતા છે. હજારો મકાનો, દુકાનો અને હોટલ ધરાશાયી થયા છે. ઘણા રાષ્ટ્રીય માર્ગો બંધ છે. રાજધાની શિમલામાં પણ વરસાદ અને ભૂસ્ખલનના કારણે ઘણું નુકસાન થયું છે. હાલ હિમાચલ પ્રદેશમાં આવેલી કુદરતી આફતને પગલે એનડીઆરએફ સહિતની રેસ્ક્યુ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે અને મોટા પાયે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં પીડિતોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે રાખવામાં આવ્યાં છે. કેન્દ્રની મોદી સરકાર પણ હિમાચલ પ્રદેશની પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યું છે અને જરુરી મદદ પુરી પાડી રહ્યું છે.