નવી દિલ્હી, 10 ઓગસ્ટ, 2026 – કેન્દ્ર સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરવામાં કોંગ્રેસ પક્ષ નિરંતર ક્રિએટિવ-રચનાત્મક મુદ્દા અને સંકેતોનો ઉપયોગ કરી રહ્યો છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરી એકદમ અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. તેઓ ચશ્મા પહેરીને સંસદ પરિસરમાં પહોંચ્યા હતા, પરંતુ લોકોનું ધ્યાન તેમના ચશ્મા કરતાં વધુ તેમના ચશ્મા પરના લખાણ ઉપર ખેંચાયું હતું.
રેણુકા ચૌધરીએ તેમના ચશ્મા પર મોતિયા બિંદને બદલે મોદિયા બિંદ લખેલું જોવા મળ્યું. જ્યારે પત્રકારોએ તેમને આ અંગે પૂછ્યું, ત્યારે તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા એક અનોખો કટાક્ષ કર્યો હતો. દેખીતી રીતે ચશ્માના કાચ ઉપર મોદિયા લખીને નરેન્દ્ર મોદી ઉપર સીધો પ્રહાર કરવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે, “સરકારને દેશની પરિસ્થિતિ, મોંઘવારી, બેરોજગારી અને લોકોની સમસ્યાઓ દેખાતી નથી. સરકારને જાણે મોતિયો આવી ગયો હોય તેવું લાગે છે. તેથી હું આ ચશ્મા લાવી છું જેથી સરકારને તેમની આંખોની સારવાર કરાવવાનું યાદ અપાવી શકાય.”
તેમના આ અનોખા વિરોધ પ્રદર્શન અને કટાક્ષની તસવીરો તથા વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.

