Site icon Revoi.in

તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરના પુત્રી કે. કવિતા એરેસ્ટ, દિલ્હી શરાબ ગોટાળામાં કરાય કાર્યવાહી

Social Share

હૈદરાબાદ: દિલ્હી દારૂ ગોટાળા મામલામાં ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે. કવિતાને એરેસ્ટ કરવામાં આવ્યા છે. આ પહેલા દિલ્હી દારૂ ગોટાળાના મામલામાં ઈડીએ હૈદરાબાદવાળા તેમના મકાન પર દરોડો પાડયો હતો. આ દરમિયાન તપાસ એજન્સીએ ઘણા પ્રકારના પુરાવા એકઠા કર્યા હતા. હવે કે. કવિતાને દિલ્હી લવાય રહ્યા છે. અહીં તપાસ એજન્સી કે. કવિતાની પૂછપરછ કરશે.

ઈન્કમટેક્સ વિભાગ અને ઈડીના અધિકારીઓ 15 માર્ચે બપોરે તલાશી માટે બીઆરએસના એમએલસી કે. કવિતાના હદૈરાબાદ ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. નવી દિલ્હીથી બંને એજન્સીઓના ઓછામાં ઓછા 10 અધિકારીઓ કે. કવિતા અને તેમના પતિ ડી. અનિલકુમારની હાજરીમાં તલાશી લઈ રહ્યા હતા.

સૂત્રો મુજબ, તલાશી દિલ્હી દારૂ નીતિ મામલા સંદર્ભે હતી. તેમાં કવિતાને આરોપી તરીકે નામિત કરવામાં આવ્યા છે. આઈટી અને ઈડીએ મામલા સંદર્ભે પોતાનું નિવેદન નોંધવા માટે કવિતાને તેમની સમક્ષ રજૂ થવા માટે ઘણી નોટિસો જાહેર કરી હતી. પરંતુ તેમણે નોટિસની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને એજન્સીઓ સામે રજૂ થયા ન હતા.

ઈડીએ પોતાની ચાર્જશીટમાં આરોપ લગાવ્યો છે કે બીઆરએસ પ્રમુખ અને ભૂતપૂર્વ સીએમ કે. ચંદ્રશેખરરાવના પુત્રી કવિતા સાઉથ ગ્રુપનો હિસ્સો હતા. જેણે અયોગ્ય લાભના બદલામાં આમ આદમી પાર્ટીના નેતાઓને 100 કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી. જો કે બાદમાં દિલ્હીની ઉત્પાદ શુલ્ક નીતિને સમાપ્ત કરવામાં આવી હતી. કવિતાએ આરોપોને નકાર્યા છે અને ઈડીની નોટિસને મોદીની નોટિસ ગણાવી છે. છેલ્લે 1 ડિસેમ્બર, 2022ના રોજ સીબીઆઈના અધિકારીઓની એક ટીમે મામલા સંદર્ભે કવિતાના તેમના હૈદરાબાદ ખાતેના નિવાસસ્થાન પર નિવેદન નોંધ્યું હતું. સીબીઆઈની ટીમે સાત કલાકથી વધુ સમય સુધી તેમનું નિવેદન રેકોર્ડ કર્યું હતું.

2 ડિસેમ્બર, 2022ના રોજ સીબીઆઈએ સીઆરપીસીની કલમ-160 હેઠલ એમએલસીને એક નોટિસ જાહેર કરી અને તેમને દિલ્હી સરકારની હવે પાછી ખેંચવામાં આવેલી ઉત્પાદ શુલ્ક નીતિમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ સંદર્ભે 6 ડિસેમ્બરની તપાસમાં સામેલ થવા માટે જણાવ્યું. 46 વર્ષીય કવિતા નવેમ્બર-2023ની ચૂંટણીઓમાં પોતાની પાર્ટીના કોંગ્રેસના હાથે સત્તા ગુમાવ્યા બાદ ખુદને સંકટમાં જોઈ રહ્યા હતા. તેલંગાણા અલગ રાજ્ય આંદોલનમાં સક્રિય રહેલા કવિતાએ 2014માં તેલંગાણા રાજ્ય બન્યા બાદ ચૂંટણીલક્ષી રાજનીતિમાં પગ મૂક્યો હતો. જ્યારે તેમણે નિજામાબાદ સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટણી લડી અને કોંગ્રેસના બે ટર્મથી સાંસદ રહેલા મધુને હરાવી 1 લાખ 67 હજાર 184 મતોની ભારે સરસાઈથી હરાવીને જીત પ્રાપ્ત કરી હતી.