Site icon Revoi.in

રત્નાગિરીમાં દાઉદ ઇબ્રાહિમની વડીલોપાર્જિત મિલકતો વેચાઈ, હરાજીમાં મળ્યા બે ખરીદદારો

Social Share

મુંબઈ, 20 માર્ચ 2026: ભારતના મોસ્ટ વોન્ટેડ ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની રત્નાગિરી સ્થિત વડીલોપાર્જિત મિલકતોને આખરે ખરીદદારો મળી ગયા છે. લાંબા સમયથી અનેક પ્રયત્નો અને હરાજીઓ નિષ્ફળ ગયા બાદ, તાજેતરમાં યોજાયેલી હરાજીમાં બે વ્યક્તિઓએ આ સંપત્તિ ખરીદવા માટે સફળ બોલી લગાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા ગત 5 માર્ચના રોજ રત્નાગિરી જિલ્લાના ખેડ તાલુકાના મુમ્બકે ગામમાં આવેલી ચાર ખેતીલાયક જમીનો (પ્લોટ) માટે હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ જમીનો દાઉદ ઇબ્રાહિમના પરિવારના નામે, ખાસ કરીને તેની માતા અમીના બીના નામે નોંધાયેલી હતી. જોકે, સુરક્ષા અને કાયદાકીય કારણોસર હાલમાં ખરીદદારોની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

હરાજી દરમિયાન એક ખરીદદારે એક ચોક્કસ પ્લોટ માટે સૌથી ઊંચી બોલી લગાવી હતી. જ્યારે બીજા ખરીદદારે બાકીના ત્રણ પ્લોટ પોતાના નામે કર્યા હતા. સરકારે આ મિલકતોને ‘સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ (ફોર્ફિચર ઓફ પ્રોપર્ટી) એક્ટ’ હેઠળ જપ્ત કરી હતી. આ કાયદો તસ્કરી અથવા અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી મિલકતો સામે કાર્યવાહી કરવાની સત્તા આપે છે.

નોંધનીય છે કે આ મિલકતો વેચવા માટે અગાઉ વર્ષ 2017, 2020, 2024 અને 2025માં પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કાં તો કોઈ બોલી લગાવનાર નહોતું મળતું અથવા પ્રક્રિયા અધૂરી રહેતી હતી. છેલ્લે નવેમ્બર 2025ની હરાજીમાં પણ એક પણ ખરીદદાર સામે આવ્યો નહોતો.

આ વખતે ચારેય પ્લોટ માટે અલગ-અલગ બેઝ પ્રાઈઝ નક્કી કરવામાં આવી હતી. એક મુખ્ય પ્લોટ જેની કિંમત અંદાજે રૂ. 9.41 લાખ રાખવામાં આવી હતી, તે રૂ. 10 લાખથી વધુ કિંમતમાં વેચાયો છે. સફળ બોલી લગાવનારાઓએ એપ્રિલ 2026 સુધીમાં સંપૂર્ણ રકમ જમા કરાવવાની રહેશે, ત્યારબાદ સક્ષમ સત્તાધિકારીની મંજૂરી મળતા સોદો સત્તાવાર રીતે પૂર્ણ ગણાશે.

આ પણ વાંચોઃ LPG સંકટ વચ્ચે ભારતીયોનો PNG તરફ ઝુકાવ: બે સપ્તાહમાં 1.25 લાખ નવા કનેક્શન

Exit mobile version