Site icon Revoi.in

દિવા અને જીત અદાણીએ સંસારી જીવનનું પ્રથમ વર્ષ દિવ્યાંગ મહિલાઓની સંગે ઉજવ્યું

Social Share

અમદાવાદ: ગુરુવારની સાંજે અમદાવાદના શાંતિગ્રામમાં આવેલી બેલ્વેડેર ક્લબના પટાંગણમાં અદાણી મંગલ સેવાએ ચિંતન, સાતત્ય અને પરિપૂર્ણતાના ભાવ સાથે તેની સ્થાપનાના એક વર્ષના રુડા અવસરની રંગદર્શી ઉજવણીમાં દિવા અને જીત અદાણી દ્વારા ૭ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ તેમના લગ્ન પ્રસંગે કરેલા આવકાર્ય નિર્ધારનો રણકો સંભળાયો. દિવ્યાંગોના શ્રેયાર્થની અદાણી યુગલની ધ્યેય નિષ્ઠાને સજોડે સીમાચિહ્નરૂપ બનાવી તેને સેવાનું માધ્યમ બનાવી આ મંગલ ઉત્સવની ઉજાણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક સ્મરણિય ક્ષણ કરતાં વેંત વધીને યોજાયેલા આ મેળાવડાએ શાંત ચિત્તે લીધેલા સંકલ્પની પૂરા માન મરતબા સાથે પૂર્તિ કરી છે તે સિધ્ધ કર્યું.

પ્રતિ વર્ષ ૫૦૦ દિવ્યાંગ મહિલાઓને ગૌરવ, સ્થિરતા અને સશક્ત બનાવવાની ખાતરી આપવાના વ્યક્તિગત સંકલ્પ સાથે આરંભાયેલો આ કલ્યાણકારી ઉદ્યમ એક માળખાગત સામાજિક સુરક્ષા કાર્યક્રમમાં પરિવર્તિત થયાની અનુભૂતિ સહુને થઇ હતી. અદાણી ઉદ્યોગ સમૂહની સામાજિક કલ્યાણ અને વિકાસ પાંખ  એવા અદાણી ફાઉન્ડેશન સંચાલિત અદાણી મંગલ સેવા ૨૫ થી ૪૦ વર્ષની દિવ્યાંગ મહિલાઓનો મજબૂત આધાર સ્થંભ બની તેઓને પ્રોજેક્ટ પાર્ટનર યુથ ફોર જોબ્સ તરીકે યુનિક ડિસેબિલિટી આઈડી (UDID) કાર્ડ મારફત પ્રસ્થાપિત કરે છે.

અદાણી મંગલ સેવાના અભિયાન હેઠળ પ્રત્યેક લાભાર્થીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે બેંકિંગ ભાગીદારીમાં બનાવવામાં આવેલી રુ.૧૦ લાખની ફિક્સ્ડ ડિપોઝિટ આપવામાં આવે છે. આ વ્યવસ્થા તળે ૧૦ વર્ષ બાદ મુખ્ય રકમની પહોંચ સાથે ખાતરીપૂર્વક માસિક આવક પૂરી પાડતી હોવાથી લાંબા ગાળાની નાણાકીય સ્થિરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી લંબાય તે રીતે ગોઠવવામાં આવેલી આ સુચારું વ્યવસ્થા વાર્ષિક ૫૦૦ દિવ્યાંગ મહિલાઓને મજબૂત નાણાકીય આધાર આપે છે. લાંબા અરસા સુધી  આ પહેલની અસરને ટકાવી રાખવા માટે વાર્ષિક રુ.૫૦ કરોડનું ભંડોળ ફાળવવામાં આવે છે.

‘સેવા હી સાધના હૈ’ મતલબ અવિરત સેવા, શિસ્તબદ્ધ અને પ્રતીકવાદ કરતાં મૂળમાં જવાબદારી હોવી જોઈએ તેવી અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીની માન્યતાથી પ્રેરીત અદાણી મંગલ સેવાને માર્ગદર્શન આપતી આ વયક્તિક ફિલસૂફીએ આ પહેલની રચના અને તેના અમલીકરણને આકાર આપવા સાથે એક પારિવારિક સીમાચિહ્નને સતત સામાજિક પ્રતિબદ્ધતામાં રૂપાંતરિત કરી છે.

ગૌતમ અદાણીએ ટ્વીટ કરી જીત અને દિવા તેમના વૈવાહિક જીવનનું એક વર્ષ પૂર્ણ કરી રહ્યાના સુખદ અવસરે તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.. ગત વર્ષે આજના દિવસે તેઓએ ‘મંગલ સેવા’નો સંકલ્પ લીધો હતો, જે અન્વયે દર વર્ષે ૫૦૦ નવવિવાહિત દિવ્યાંગ બહેનો પ્રત્યેક બહેનને રુ.૧૦ લાખની આર્થિક સહાય આપવાનો સંકલ્પ લીધો હતો, જે આજે પણ એ જ સમર્પણ સાથે આગળ વધી રહ્યો છે તે મારા માટે અત્યંત સંતોષ અને કૃતજ્ઞતાનો વિષય છે. સમય સાથે અનેક પરિવારોના જીવનમાં સન્માન અને નવી આશા સાથે નવી શરૂઆતનો આ પ્રયાસે અવસર આપ્યો છે. સાચું કહું તો  જ્યારે કોઈ દીકરીના જીવનમાં સૂકૂન અને આત્મવિશ્વાસ પાછો ફરે છે, ત્યારે જે તૃપ્તિ થાય છે તેની સામે દુનિયાની મોટામાં મોટી સિદ્ધિ અને વૈભવ પણ નાના લાગે છે. એક પિતા તરીકે હું મારી જાતને ધન્ય માનું છું કે મારાં બાળકો પોતાની ખુશીઓ સાથે અનેક પરિવારોના જીવનમાં પણ આશા અને સૂકૂન ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રભુને મારી પ્રાર્થના છે કે સેવાનો આ ભાવ ભવિષ્યમાં પણ અનેક પરિવારોના જીવનમાં સુખ, સન્માન અને નવી આશા લઈને આવે, અને જીત અને દિવા આ માર્ગે સતત આગળ વધતા રહે તેવા તેમના પર આશીર્વાદ પ્રાપ્ત થતા રહે.

અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડો. પ્રીતી અદાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજનો આ પ્રસંગ મારા માટે સવિશેષ ખૂબ ભાવનાત્મક તથા ગૌરવભયો છે. આજે આપણે અહીં માત્ર એક ઉત્સવ માટે એકઠા નથી થયા, પરંતુ માનવીય ગૌરવ, આશા, સપનાઓ અને સશક્તિકરણના મહોત્સવ માટે મળી રહ્યા છીએ.

અદાણી મંગલસેવા પહેલની પ્રેરણા એક સુંદર વિચારમાંથી ઉદભવી છે. આ ચિંતન વ્યક્તિગત આનંદને સમાજ કલ્યાણમાં પરિવર્તિત કરવાનું છે. જીવનમાં જયારે સુખદ પળ આવે ત્યારે તે સુખને સમાજ વચ્ચે વહેંચવું એજ સાચી સેવા છે, તેથી જ મારા માટે અદાણી મંગલ સેવા અત્યંત વ્યક્તિગત છે. આ ફક્ત એક યોજના નથી, પણ એક સંવેદના છે, એક ભરોસો છે કે પ્રત્યેક સ્ત્રીમાં અપરંપાર શક્તિ વસે છે. દિવ્યાંગ હોવું એ કોઈ મર્યાદા નથી. પરંતુ તેમાં જીવનને અલગ દ્રષ્ટીથી નિરખવાની ક્ષમતા છે. આજે અહીં બેસેલી મારી દરેક વહાલી બહેન આ વાતનું જીવંત ઉદાહરણ છે.

 જીત અદાણીએ ભાવવાહી સ્વરે કહ્યું હતું કે “મંગલ સેવાએ અમોને શીખ આપી છે કે ક્યારેક સૌથી મોટો ટેકો એ બની રહે છે જે શાંતિથી, સ્થિર, ભરોસાપાત્ર અને આદરણીય બની નેપથ્યમાં રહે છે. અમારા માટે આ એવી વસ્તુ નથી જે અમે પૂર્ણ કરીને આગળ વધીએ. આ એક જવાબદારી છે જેને અમે આગળ ધપાવીએ છીએ.” દિવા અદાણીએ પોતાની લાગણી વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે “અદાણી મંગલ સેવા વિશ્વાસના પાયા ઉપર નિર્માણ થયેલી છે. અને સુરક્ષાના આવરણથી તે ટકી રહેશે તેવી અમોને શ્રધ્ધા અને ગૌરવ છે.

નિશ્ચિત હેતુ અને સમાવેશીતાની ભાવના સાથે ખુલ્લી મૂકાયેલી આ સંધ્યામાં શામેલ થવા લાભાર્થીઓ સપરિવાર સંગઠિત સમૂહમાં પહોંચ્યા ત્યારે સ્વયંસેવકોએ પૂરા માનવીય અભિગમ સાથે તેઓની આગતા સ્વાગતા કરી હતી. પ્રાર્થનાથી શરૂ થયેલા કાર્યક્રમમાં સમૃદ્ધિ ત્યારે જ અર્થપૂર્ણ બને જ્યારે તે અન્ય લોકો માટે કાયમી તક બને તેવી અદાણી મંગલ સેવાની કેન્દ્રીય માન્યતાની પુષ્ટિ કરતી એક વિશિષ્ટ પ્રસ્તુતિ પેશ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ફિક્સ્ડ ડિપોઝિટના પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદના બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન દ્વારા ભાતીગળ ગરબાની પ્રસ્તુતિ અને ફ્યુઝન સંગીત સહિત ભાગીદારી અને ગૌરવ પર ભાર મૂક્તી સાંસ્કૃતિક કલાકૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી.

Exit mobile version