અમદાવાદઃ આ અમારી માતૃભૂમિ છે અને અહીંના લોકોનો એવો પ્રેમ ભાવ મળ્યો છે કે અમને તમિલનાડુ જવાનું મન થતું નથી. ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલું ચરણ ગંગાધામ થી ઓળખાતા ટુંપણી ગામમાં તમિલનાડુના મદુરાઈના મહિલા અગ્રણી એ.આર. મહાલક્ષ્મીજીને બળદગાડામાં બેસાડી સામૈયુ કરી અન્ય તમિલનાડુના મહેમાનોને પણ દાંડીયારાસ – સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું ત્યારે તેઓ આ શબ્દો બોલ્યા હતા. દ્વારકાના મહેમાન બનેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમના 300 મહિમાનોએ આજે દ્વારકા નજીક ટુપ્પણી ગામની મહેમાનગતિ માણી હતી. પ્રવાસનમંત્રી મુળુભાઇ બેરા અને શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોળ ની ઉપસ્થિતિમાં ટુંપણી ગામના ગ્રામજનોએ પરંપરાગત વેશમાં ગામડાની સૌરાષ્ટ્ર કાઠીયાવાડની મહેમાનગતિ સાથે સૌ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ગામના યુવાનોએ લોકવાદ્ય શરણાઈ અને ઢોલ સાથે ડાંડિયારાસ રમી બેનોએ સામૈયા કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
દરમિયાન સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે તમિલ પરિવારોને સોમનાથ પ્રભાસ પાટણના વિવિધ સ્થળોના દર્શનાર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ભાલકા ખાતે તમામ તમિલ પરિવારોએ ભગવાન શ્રી કૃષ્ણના નિર્વાણ સ્થાનના દર્શન કર્યા હતા. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અને અહીંના મંદિરો વિશે વાત કરતા મદુરાઈથી આવેલા ટી.આર.પ્રકાશકુમારે જણાવ્યુ હતુ કે, અમારા મદુરાઈની જેમ પ્રભાસ પાટણની આ ભૂમિ પર પણ સવિશેષ મંદિર આવેલા છે. અહીંના મંદિરોની બાંધણી અને કોતરણી, થોડા અંશે મદુરાઈના મંદિરોની બાંધણી અને કોતરણી સાથે મળતી આવે છે. ફરક એટલો છે કે, અમારે ત્યાં મંદિરો મુખ્યત્વે પથ્થરના બનેલા છે જ્યારે અહીંના મંદિરો મુખ્યત્વે માર્બલના છે.
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ વિશે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું જે આજે સાકાર થઈ રહ્યું છે. વર્ષો બાદ અમારા પિતૃઓની માંભોમ પર આવવાનું સૌભાગ્ય અમને તેમના થકી જ મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ સૌરાષ્ટ્રીયન તમિલોના એક સ્થળનું ઉદ્ઘાટન કરવા માટે તમિલ આવ્યા હતા અને ત્યારે જ તેમણે મૂળ સૌરાષ્ટ્રના તમિલ પરિવારોને ગુજરાતની ધરા પર લઈ જવા નિર્ધાર કર્યો હતો. જે નિર્ધાર આજે હકીકત બનતો આપણે જોઈ શકીએ છીએ. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, મૂળ સૌરાષ્ટ્રના તમામ તમિલ પરિવારોએ અહીં આવી જરુરથી તેમના પૂર્વજોની ભૂમિની માટીને વંદન કરવા આવવું જ જોઈએ.