Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનો અને લાયબ્રેરી માટે આઠ લાખના પુસ્તકો ખરીદાશે

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે નવા પુસ્તકોની ખરીદી કરવામાં આવતી હોય છે, પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે સેન્ટ્રલ લાઇબ્રેરીમાં પુસ્તકોની ખરીદી કરવામાં આવી ન હતી પરંતુ હવે સ્થિતિ કાબૂમાં છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી  દ્વારા આગામી દિવસોમાં 8 લાખના પુસ્તકોની ખરીદી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. આગામી દિવસોમાં દરેક ભવનને સેન્ટ્રલ લાઇબ્રેરીમાંથી પત્ર લખીને તેમને ક્યાં ક્યાં પુસ્તકોની જરૂર છે. તેનું લિસ્ટ મગાવવામાં આવશે અને ત્યારબાદ જુદા જુદા કોર્સના પુસ્તકોની ખરીદી કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની પણ ખૂબ માંગ વધી છે. યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી કરી રહ્યાં છે. ત્યારે નિયમિત રીતે લાઇબ્રેરીમાં આવતા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાના પણ જુદા જુદા પ્રકાશનોના પુસ્તકોની માંગ કરી રહ્યાં છે. યુનિવર્સિટીના દરેક ભવનને પોતાને ક્યાં ક્યાં વિષયના પુસ્તકોની જરૂર છે તેનો ડેટા મગાવ્યા બાદ દરેક ભવનના પુસ્તકો એકસાથે ખરીદી કરાશે. સામાન્ય રીતે દર વર્ષે યુનિવર્સિટીના ભવનો પોતાને જેટલા પુસ્તકોની જરૂર હોય તેટલા પુસ્તકોનું લિસ્ટ લાઇબ્રેરીને મોકલતા હોય છે, અને તે પ્રમાણે ખરીદી થાય છે. પરંતુ હાલ વિદ્યાર્થીઓમાં પણ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની ડિમાન્ડ વધી છે તેથી વિદ્યાર્થીઓની જરૂરિયાતને પણ ધ્યાનમાં લેવાશે.

સૂત્રોએ ઉમેર્યું હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં હાલ એક લાખથી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે જેનો વિદ્યાર્થીઓ લાભ લઇ રહ્યા છે. આ ઉપરાંત હાલ આ યુનિવર્સિટીમાં સૌથી જૂનું પુસ્તક વર્ષ 1907નું છે. આ પુસ્તક કેમિસ્ટ્રી વિષયનું સૌથી જૂનું હોવાનું માનવામાં આવે છે. લાઇબ્રેરીમાં 100 વર્ષથી વધુ સમયના જૂના પુસ્તકો ઉપલબ્ધ છે. પુસ્તકો જેમ જેમ જૂના થતા જાય તેમ તેની જાળવણી પણ મુશ્કેલ બનતી જાય છે તેથી યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરી દ્વારા અતિ જૂના પુસ્તકો પસ્તીમાં જવા દેવાને બદલે જે-તે ભવનને વિષય પ્રમાણે સોંપી દેવામાં આવે છે.