નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: બોર્ડની પરીક્ષાઓનો તણાવ દૂર કરવા અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન ‘પરીક્ષા પે ચર્ચા’ એ આ વર્ષે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ વર્ષે કાર્યક્રમના 9મા સંસ્કરણ માટે અત્યાર સુધીમાં દેશભરમાંથી 4 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
આંકડામાં જોવા મળ્યો અભૂતપૂર્વ ઉછાળો
ગયા વર્ષે આ કાર્યક્રમમાં 3 કરોડ 56 લાખ જેટલા રજિસ્ટ્રેશન થયા હતા, જેની સરખામણીએ આ વર્ષે આ આંકડો 4 કરોડને પાર કરી ગયો છે. આ માત્ર વિદ્યાર્થીઓનો જ નહીં, પરંતુ શિક્ષકો અને વાલીઓનો પણ કાર્યક્રમ બની રહ્યો છે. આ વર્ષે રજિસ્ટ્રેશનમાં 23 લાખ જેટલા શિક્ષકો સામેલ થયા છે. જ્યારે 5 લાખથી વધુ વાલીઓએ પણ રસ દાખવ્યો છે.
11 જાન્યુઆરી સુધી તક
જે વિદ્યાર્થીઓ હજુ સુધી રજિસ્ટ્રેશન કરાવી શક્યા નથી, તેમના માટે હજુ પણ તક છે. પરીક્ષા પે ચર્ચા માટે 11 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ રહેશે. માયગવ (MyGov) પોર્ટલ પર જઈને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ આ અભિયાનનો ભાગ બની શકે છે.
PM મોદીએ વ્યક્ત કરી ઉત્સુકતા
વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બનેલા ‘એક્ઝામ વોરિયર’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરવા માટે પોતાની આતુરતા વ્યક્ત કરી છે. તેઓ આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાને ‘તણાવ’ નહીં પણ ‘ઉત્સવ’ તરીકે ઉજવવાની પ્રેરણા આપે છે.
શા માટે આ કાર્યક્રમ મહત્વનો છે?
બોર્ડની પરીક્ષા આપતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ સંજીવની સમાન સાબિત થાય છે. પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓના પ્રશ્નોના સીધા જવાબ આપે છે, જેમાં સમયનું સંચાલન (Time Management), એકાગ્રતા અને પરીક્ષાના ડરને કેવી રીતે ભગાડવો તે જેવી બાબતો પર માર્ગદર્શન આપવામાં આવે છે.

