Site icon Revoi.in

અમદાવાદના સાયન્સસિટીના એક્વાટિક ગેલેરીમાં વિદેશી માછલીઓને વાતાવરણ માફક નથી આવતું

Social Share

અમદાવાદ : શહેરના સાયન્સસિટી ખાતે કરોડોના ખર્ચે એક્વેરિયમ બનાવવામાં આવ્યું છે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્વેરિયનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. દરિયાથી દૂર, જમીનના ભાગમાં હોય એવું વિશ્વનું એકમાત્ર મોટું એક્વેરિયમ ગુજરાતમાં બનાવાયુ છે,  આ એક્વેરિયમના માછલી ઘરમાં દરરોજ 3 થી 5 માછલીઓના મોત થઈ રહ્યા છે, કે જે માછલીઓને  વિદેશથી લાવવામાં આવી છે. આ માછલીઓ અતિ દુર્લભ પ્રકારની છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સાયન્સ સિટીમાં રૂપિયા 266 કરોડના ખર્ચે એક્વેટિક ગેલેરી બનાવાઈ છે, પણ ઉદઘાટનના બીજા દિવસે જ આ ગેલેરી રામભરોસે મૂકાઈ હતી. અહી દરરોજ 3 થી 5  વિદેશી માછલીઓના મોત થઈ રહ્યા છે.  કહેવાય છે કે, સાયન્સ સિટીના એકવેટિક ગેલેરીનું વાતાવરણ માછલીઓને માફક નથી આવી રહ્યું. વાતાવરણ અને ફૂડ માફક ન આવતા માછલીઓના મોત થઈ રહ્યા હોવાનું કહેવાય છે. દુનિયાના વિવિધ મહાસાગરોમાંથી વિશિષ્ટ પ્રકારની 188 પ્રજાતિની 11,690 માછલીઓ અહી લાવવામાં આવી છે. એક્વેટિક ગેલેરીમાં મૂકાયેલી માછલીઓ માટેની લાઈફ સપોર્ટ સિસ્ટમ શોભાના ગાંઠિયા સમાન લાગી રહ્યા છે. દેશના સૌથી મોટા અને સર્વશ્રેષ્ઠ એકવેરિયમમાં અનેક માછલીઓના મોત માટે હજી સુધી કેમ કોઈ પગલાં નથી લેવાયા.

ઉલ્લેખનીય છે કે, 15 હજાર ચો.મી.ના ક્ષેત્રફળમાં આ એક્વાટિક ગેલરી બનાવાઈ છે. જેમાં તાજું પાણી, ખારું પાણી અને દરિયાઈ પાણી ધરાવતી 68 મોટી ટેંક બનાવાઈ છે. આ ટેંકમાં શાર્ક, ઝેબ્રા શાર્ક અને ગ્રે રીફ શાર્ક ઉપરાંત પેંગ્વિન જેવી હોલિવૂડની ફિલ્મોમાં જોવા મળતી 188 દરિયાઈ પ્રજાતિ રાખવામાં આવી છે. આ એક્વિરેયમને સાચવવામાં સૌથી મોટી ચેલેન્જ તેને અનુકૂળ વાતાવરણ આપવાનુ છે. વાસ્તવિક જીવસૃષ્ટિને સાચવવા ઉપરાંત એને અનુકૂળ એક્વેરિયમનું વાતાવરણ બનાવવાનું છે. કુદરતી તાપમાન જાળવવું અને પાણીની ગુણવત્તા, ઓક્સિજનની ગુણવત્તા, ખોરાક, ગ્રીન એન્વાયર્નમેન્ટ એ બધું આપવું પડે તો જ માછલીઓ જીવિત રહી શકે.