Site icon Revoi.in

સ્ટેચ્યુ ઓફ યુનિટીના હાઈવે માટે સંપાદન કરાયેલી જમીનનું વળતર ખેડૂતોને હજુ મળ્યુ નથી

Social Share

વડોદરાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકર્ષણ દેશભરના લોકોને થઈ રહ્યું છે. પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવામાં કોઈ અગવડ ન પડે તે માટે  સરકારે ફોર લેન રસ્તાઓ તો બનાવી દીધા છે.પણ રસ્તા બનાવવા ખેડૂતોએ આપેલી જમીનના વળતર માટે ખેડૂતોએ હાલ વલખા મારવાનો સમય આવ્યો છે.રાજપીપળા પ્રાંત કચેરી અને નેશનલ હાઈવેના અધિકારીઓની આળસ ભરી નીતિને લીધે  જગતનો તાત હાલાકી વેઠી રહ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટને લઈને દેવલિયાથી રાજપીપળા સુધી ફોર લેન રસ્તો મંજુર થયો હતો. સ્ટેટ હાઇવે દ્વારા દેવલિયાથી રાજપીપળા સુધી રોડ બનાવવા જમીન સંપાદિત પણ થઈ ગઈ, એવામાં દેવલિયાથી રાજપીપળા સુધીનો રોડ નેશનલ હાઈવે જાહેર થયો દરમિયાન સમય જતાં રોડની કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ તે છતાં સ્ટેટ હાઇવે દ્વારા સંપાદન કરાયેલી જમીનનું વળતર  20-25 ગામના ખેડૂતોને  ચુકવાયુ નથી. એવી ફરિયાદો ખેડુતોમાં ઊઠી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા હાઈવે માટે સરકારે સંપાદન કરેલી જમીનનું વળતર ન ચુકવાતા ખેડુતોમાં અસંતોષની લાગણી ઊભી થઈ છે. ભાણન્દ્રા વિસ્તરના ખેડૂતો તો એવો આક્ષેપ કરી રહ્યા છે કે સરકારે અમારી પાસેથી જોર જબરજસ્તી જમીન છીનવી લઈ ઓવર બ્રિજનું કામ શરૂ કર્યું છે જ્યાં સુધી અમને વળતર નહિ મળે ત્યાં સુધી અમે બ્રિજનું કામ ચાલુ થવા નહિ દઈએ. જ્યારે રોડ મંજુર થયો ત્યારે એજન્સીએ વાવડી-વડીયા ગામની જમીનના ઉભા પાકની નુકશાનીનો સર્વે પણ કર્યો હતો, અમારી જમીનોનું નવું સંપાદન પણ થઈ ગયું છે.અમે ઉભા તૈયાર પાક કાપી જમીન આપી છે, રોડ પણ તૈયાર થઈ ગયો તે છતાં વળતર માટે અમારે કચેરીઓના ધક્કા ખાવાનો વારો આવ્યો છે.મારી જેવા તો 20 ખેડૂતો છે જેમની કરોડો રૂપિયાની જમીન સરકારે લઈ લીધી પણ વળતર નથી મળ્યું.  નેશનલ હાઈવે ભરૂચ ડિવિઝનના કાર્યપાલક ઈજનેરે જણાવ્યુ હતુ કે, વાવડી-વડીયા ગામનું એવોર્ડનું કામ થઈ ગયા પછી એમને વળતર મળશે, એ સિવાયના ગામોનું એવોર્ડનું કામ થઈ ગયું છે ટૂંક સમયમાં જ એમને વળતર મળી જશે.