Site icon Revoi.in

પાકિસ્તાનમાં ઈમરાન સરકારમાં કટ્ટરપંથીઓને છુટો દોરઃ 22 મહિનામાં 9 મંદિરોને નિશાન બનાવાયાં

Social Share

દિલ્હીઃ પાકિસ્તાનને રિયાસત-એ-મદીના બનાવવાનું વચન આપીને સત્તામાં આવેલા ઈમરાન ખાનના શાસનકાળમાં હિંદુ મંદિરો પર હુમલાના બનાવો વધ્યાં છે. તાજેતરમાં કટ્ટરપંથીઓએ કરાચી શહેરમાં એક હિન્દુ મંદિર પર હુમલો કરીનેને દુર્ગા માતાજીની મૂર્તિને ખંડિત કરી હતી. તેમજ કટ્ટરપંથીઓએ મંદિરમાં પણ તોડફોડ કરી હતી. આમ 22 મહિનાના સમયગાળામાં પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ એક-બે નહીં પરંતુ 9 જેટલા મંદિરોને નિશાન બનાવીને ભગવાનની મૂર્તિ અને મંદિરમાં તોડફોડ કરીને ધાર્મિક લાગણી દુભાવી હોવાનું સામે આવ્યું છે. કરાચીમાં મોટી સંખ્યામાં હિંદુઓ રહે છે.

કટ્ટરવાદીઓએ કરાચીના નારિયાન પુરા હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક મૂર્તિને ખંડિત કરી હતી. આ ઉપરાંત મા દુર્ગાની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હતું. એટલું જ નહીં ધર્મ ઝૂનૂની ટોળાએ મંદિરમાં તોડફોડ કરીને ભયનો માહોલ ઉભો કર્યો હતો. સુપ્રીમ કોર્ટની ટકોર બાદ ઈમરાન સરકાર મંદિરની સુરક્ષાના દાવા કરી રહી છે. બીજી તરફ સરકારની જ મીઠી નજર હેઠળ મંદિરને નુકસાન કરવામાં આવતું હોવાનું મનાઈ રહ્યું છે.

વડાપ્રધાન ઈમરાન ખાનનો આ દાવો પોકળ સાબિત થઈ રહ્યો છે અને કટ્ટરપંથીઓ પાકિસ્તાનમાં હિન્દુઓના મંદિરોને નિશાન બનાવી રહ્યાં છે. થોડા મહિના પહેલા જ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગણેશજીના મંદિરને કટ્ટરપંથીઓએ નિશાન બનાવ્યું હતું. આ હુમલા બાદ સમગ્ર વિશ્વમાં આકરી ટીકા થઈ હતી, ત્યારબાદ વડાપ્રધાન ઈમરાન ખાને 24 કલાક બાદ મૌન તોડ્યું હતું. ઈમરાન ખાને પણ વચન આપ્યું છે કે તેમની સરકાર આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવશે.

આ પહેલા પણ ઈમરાન ખાને ઈસ્લામાબાદમાં મંદિર બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ કટ્ટરપંથીઓના વિરોધને કારણે તેમણે પોતાનું વચન તોડી નાખ્યું હતું. ઈમરાન ખાને ટ્વીટ કરીને લખ્યું, “રહીમ યાર ખાનના ભોંગમાં ગણેશ મંદિર પર થયેલા હુમલાની સખત નિંદા કરું છું. મેં પહેલાથી જ આઈજી પંજાબને તમામ ગુનેગારોની ધરપકડ સુનિશ્ચિત કરવા અને પોલીસની કોઈપણ બેદરકારી સામે પગલાં લેવા જણાવ્યું છે. સરકાર મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરશે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આ કેસમાં પંજાબ રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિરીક્ષક (IGP)ને 24 કલાકની અંદર હાજર થવાનો આદેશ આપ્યો હતો.