Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટીમાં લો અને મેડિકલ સિવાય સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા નહીં લેવાય

Social Share

અમદાવાદઃ રાજ્યમાં સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીમાં મેડિકલ અને લૉ ફેકલ્ટી સિવાય સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લેવાશે નહી, પરંતુ વિદ્યાર્થીઓને મેરિટ બેઝ્ડ પ્રોગ્રેશન લાગુ થશે એવી જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. ચાલુ સેમેસ્ટરમાં 50 ટકા આંતરીક ગુણ અને અગાઉના સેમેસ્ટરના 100 ગુણમાંથી 50 ટકા ગુણના આધારે માર્કસ અપાશે.

ગુજરાત યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ  મેડિકલ અને લૉ ફેકલ્ટી સિવાયની સ્નાતક કક્ષાની BA, B.COM, BSC, BBA, BCA, BRS, BAJMC જેવા કોર્સિસના સેમેસ્ટર 2 તથા 4, ડીગ્રી ડ્રામા, જેવા વાર્ષિક પદ્ધતિના અભ્યાસક્રમો માટે દ્વિતિય વર્ષ તેમજ B.ED સેમેસ્ટર 2 તેમજ અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર 2 અને BARCH જેવા ઈન્ટરમીડિયેટ સેમેસ્ટરમ જેમાં આંતરિક મુલ્યાંકન થયેલ છે. તેની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.

આ તમામ વિદ્યાર્થીઓના પરિણામ માટે મેરીટ બેઝ્ડ પ્રોગ્રેશન લાગુ થશે. પાંચ વર્ષના ઈન્ટીગ્રેટેડ કોર્સિસના કિસ્સામાં ડીગ્રી એવોર્ડીંગ સેમેસ્ટરની પરીક્ષા લેવાની રહેશે. જે કોર્સિસના જે તે સેમેસ્ટર કે વર્ષની પરીક્ષાના આધારે ક્લાસ એવોર્ડ કરવામાં આવતા હોય તેવી તમામ પરીક્ષા ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવશે. મેરીટ બેઝ્ડ પ્રોગ્રેશન મુજબ ચાલુ સેમેસ્ટરના આંતરિક ગુણ 50 ટકા, અને અગાઉના સેમેસ્ટરના જે તે પેપરના કુલ ગુણ 100માંથી પ્રાપ્ત 50 ટકાને ધ્યાનમાં લઈને માર્ક્સની ગણતરી કરવામાં આવશે.

અગાઉ 10 જૂનથી ગુજરાત યુનિવર્સિટીની LLBની પરીક્ષા શરૂ થવાની હતી. જે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઓનલાઇનનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. 19 જૂન સુધી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઇન પરીક્ષા માટે વિકલ્પ પસંદ કરી શકશે. 19 જૂન સુધી વિકલ્પ ના પસંદ કરનારની ઓફલાઈન પરીક્ષા યોજાશે. ઓનલાઇન પરીક્ષા પસંદ કર્યા બાદ મોક ટેસ્ટ પણ આપવી પડશે. મોક ટેસ્ટ આપી હશે તેને જ ઓનલાઇન પરીક્ષા આપવા દેવામાં આવશે