Site icon Revoi.in

ગુજરાતમાં સમયની સાથે દારૂબંધીના નિયમમાં પણ બદલાવ આવી શકે છેઃ ભરતસિંહ સોલંકી

Social Share

અમદાવાદ :  દરેક પક્ષના રાજકિય નેતાઓ મીડિયાની સુર્ખીઓમાં રહેવા માટે વિવાદાસ્પદ નિવેદનો કરતા હોય છે. અને પોતાને પબ્લિસિટી મળી ગયા બાદ ફેરવી તોળતા હોય છે. ગુજરાતમાં દારૂબંધી એક ખુબ જ વિવાદિત મુદ્દો રહ્યો છે. આ વિવાદમાં અનેક નેતાઓ દારૂ બંધી અંગે તો કેટલાક દારૂબંધી હટાવવાનાં પક્ષમાં પણ નિવેદનો આપી ચુક્યાં છે. જો કે મોટાભાગનાં નેતાઓ દારૂબંધી વિરુદ્ધ જ મંતવ્ય આપતા રહ્યા છે. પરંતુ ગુજરાત કોંગ્રેસનાં અગ્રણી નેતા ભરતસિંહ સોલંકી દ્વારા વિવાદિત નિવેદન અપાયું હતું. અમદાવાદમાં યોજાનારી આર.જી પ્રીમિયર લીગના ઉદ્ધાટન સમયે ભરતસિંહે આડકતરી રીતે અમારી સરકાર આવે તો દારૂબંધી હટાવવાનો ઇશારો કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, ઠંડીમાં જમવાની વ્યવસ્થા તો અમે કરી છે પરંતુ અન્ય વ્યવસ્થા થઇ શકે તેમ નથી. ઠંડી બહું છે, જો કે તેમણે આડકતરો ઇશારો કરતા જણાવ્યું કે, સમય સાથે બદલાવ આવશે તો દારૂબંધીમાં પણ બદલાવ આવી શકે છે. જેના પગલે આડકતરી રીતે કોંગ્રેસ સરકાર આવે તો દારૂબંધી હટી શકે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે, હાલમાં ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ કેટલી બંધી છે તે તો સૌ કોઇ જાણે છે. ગુજરાતમાં બિનકાયદેસર રીતે જોઈએ તેટલો દારૂ મળે છે.

તેમણે ઉમેર્યું હતું કે, જો દારૂ કાયદેસર રીતે વેચાતો હોત તો સરકારને ટેક્ષની પણ આવક થાત. જો કે હાલ તો ભાજપના મળતીયાઓ જ દારૂ વેચીને આર્થિક લાભ મેળવી રહ્યા છે. ઈન્દિરાજી કહેતા કે ધનાઢય લોકો દારૂ પીવે તો ચાલે પણ સામાન્ય માણસ દારૂ ન પી શકે. જો કે ગુજરાતની મહિલાઓ નિર્ણય કરે તો દારૂબંધી હટાવી શકાય તેમ છે. દારૂબંધી અંગે 7 કરોડ ગુજરાતીઓમાં મારા એકલાનો મત નિર્ણાયક નથી. પણ દારૂબંધી વચ્ચે દારૂ વેચાય છે તે સૌ કોઇ જાણે છે.