Site icon Revoi.in

અમદાવાદમાં બે જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડા, 13 સ્થળો ઉપર સર્ચ-સર્વે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આવકવેરા વિભાગે ફરી એકવાર દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાજમાં જાણીતા બે જૂથ ઉપર દરોડા પાડ્યાં હતા. ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા જૂથ ઉપર દરોડાને પગલે આ વ્યવસાય સાથે જોડાયેલા અન્ય જૂથના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. આઈટીની તપાસમાં કરોડોનું કાળુનાણું ઝડપાય તેવી શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના આશ્રમ રોડ સ્થિત ડેરી અને હોટલ જૂથના એકમો ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતા. આ બંને જૂથના સંચાલકો અને ભાગીદારોના નિવાસસ્થાન અને વ્યવસાયના સ્થળો ઉપર પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગના અધિકારીઓએ આજે સવારે પોલીસ બંદોબસ્ત સાથે સર્ચ-સર્વેની કામગીરી શરૂ કરી હતી. દરોડાની આ કાર્યવાહીમાં 75થી વધારે અધિકારીઓ જોડાયાં હોવાનું જાણવા મળે છે.

અમદાવાદના આશ્રમ રોડ સહિત વિવિધ વિસ્તારોમાં લગભગ 13 સ્થળો ઉપર મોડે સુધી તપાસ ચાલુ રહી હતી. આ દરમિયાન કેટલાક વાંધાનજક દસ્તાવેજ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત આઈટીના અધિકારીઓએ હિસાબના દસ્તાવેજ અને બેંકની વિગતો પણ એકત્ર કરી હતી. આવકવેરા વિભાગના દરોડાના અંતે કરોડોની કરચોરી ઝડપાવવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણીના માહોલમાં જ આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત આવકવેરા વિભાગ દ્વારા ચૂંટણીમાં નાણાની હેરાફેરીને અટકાવવા માટે સઘન કાર્યવાહી કરી રહ્યું છે.

(PHOTO-FILE)