Site icon Revoi.in

ખાદી પ્રત્યે લોકોનો ક્રેઝ વધતા વેચાણમાં વધારો, નવી 1.75 કરોડ રોજગારીનું સર્જન થયું

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકોમાં ખોદીનો ક્રેઝ વધ્યો છે અને લોકો હવે ખાદીના વસ્ત્રો પહેરવાનું પસંદ કરી રહ્યાં છે. બીજી તરફ સરકાર પણ ખાદીને પ્રોત્સાહન આપવા પગલા ભરી રહી છે. આઠ વર્ષના સમયગાળામાં સમગ્ર દેશમાં ખાદી અને ગ્રામોદ્યોગમાં દેશભરમાં લગભગ 1.75 કરોડ નવી નોકરીઓનું સર્જન થયું છે. “આઝાદી કા અમૃત મહોત્સવ”ના ભાગ રૂપે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ રેલવે સ્ટેશનો પર ખાદીના પ્રદર્શન-કમ-સેલ્સ આઉટલેટ્સ સ્થાપ્યા છે જેમાં રૂ. 5.14 લાખનું ખાદીનું વેચાણ નોંધાયું છે.

ખાદી ભારત માટે આત્મનિર્ભરતાના સારનું પ્રતીક છે. તે બ્રિટિશરાજ સામે સમગ્ર દેશના પ્રતિકાર અને ક્રાંતિનું પ્રતિનિધિત્વ કરે છે, જે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ભારતીય ઓળખનો ચહેરો બની ગઇ હતી.

ખાદી માત્ર એક માત્ર એક સૂતરનો તાતણો નથી પરંતુ તેનાથી ઘણી વિશેષ છે, તે મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલી આખી એક ચળવળ છે જેણે ભારતમાં 1920 ના દાયકામાં ગ્રામીણ સ્વ-રોજગાર અને આત્મ-નિર્ભરતા (બ્રિટનમાં ઔદ્યોગિક રીતે ઉત્પાદિત કાપડનો ઉપયોગ કરવાને બદલે) માટે ખાદીના કાંતણને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું હતું.

આમ ખાદીને સ્વદેશી ચળવળનું એક અભિન્ન અંગ અને પ્રતીક બનાવવામાં આવી હતી. ભારતનો રાષ્ટ્રધ્વજ વ્યાપકપણે આ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે.

દાયકાઓથી, ખાદી એ સ્વતંત્રતા સેનાનીની ઓળખને રજૂ કરતા કાપડ તરીકેની ઓળખમાંથી હવે ફેશનેબલ વસ્ત્રોના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. આજે, ખાદીની માંગ એટલી બધી છે કે આ કાપડના કાંતણ અને ઉત્પાદનમાં હજારો કામદારો સંકળાયેલા હોવા છતાં, બજારની માંગ પૂરી કરવી મુશ્કેલ છે.

ખાદી અને ગ્રામોદ્યોગ એ ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ છે. ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય હેઠળ ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન (KVIC) ખાદીના ઉપયોગને પ્રોત્સાહન આપે છે.

KVICને જ્યાં પણ જરૂર હોય ત્યાં ગ્રામીણ વિકાસમાં સંકળાયેલી અન્ય એજન્સીઓ સાથે સંકલન સાધીને ગ્રામીણ વિસ્તારોમાં ખાદી અને અન્ય ગ્રામોદ્યોગના વિકાસ માટેના કાર્યક્રમોના આયોજન, પ્રચાર, સંગઠન અને અમલીકરણનો હવાલો આપવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદીને લોકપ્રિય બનાવવા માટે, ખાદીના ઉત્પાદનો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અને યુવાનો દ્વારા ખાદીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે નિરંતર પ્રયાસો કર્યા છે.

પીએમ અને કેન્દ્ર સરકારના પ્રયાસોના પરિણામ સ્વરૂપે, 2014થી આજદિન સુધીમાં, ભારતમાં ખાદીના વેચાણમાં ચાર ગણો વધારો જોવા મળ્યો છે, ગુજરાતમાં ખાદીના વેચાણમાં આઠ ગણો જંગી વધારો જોવા મળ્યો છે. છેલ્લાં આઠ વર્ષમાં જ, ખાદી અને ગ્રામોદ્યોગમાં દેશભરમાં લગભગ 1.75 કરોડ નવી નોકરીઓનું સર્જન થયું છે.

ખાદી સાથે ગુજરાતનો ખાસ સંબંધ રહ્યો છે. ગુજરાતે ખાદીને ફરી સજીવન કરવામાં અને તેને નવા સ્વરૂપોમાં દુનિયા સમક્ષ લઇ જવા માટે વારંવાર અગ્રેસર ભૂમિકા નિભાવી છે. વર્ષ 2020-21 દરમિયાન ખાદી ક્ષેત્રથી રાજ્યમાં 21,417 લોકોને રોજગારી પ્રાપ્ત થઇ છે.

ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ ખાદી અને ગ્રામોદ્યોગના ઉત્પાદનોનો વ્યાપ વધારવા માટે, કારીગરોને રોજગારી પૂરી પાડવા માટે અને પ્રદર્શન-કમ-મેળાઓના આયોજન દ્વારા ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોના વેચાણમાં વધારો કરવા માટે કાર્યરત છે.

આ બોર્ડ કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) / ગ્રામીણ રોજગાર સર્જન કાર્યક્રમ (REGP) અને રાજ્ય સરકારની અન્ય યોજનાઓ જેવી વિવિધ યોજનાઓનો અમલ પણ કરે છે.

ગ્રીન ખાદી અભિયાન શરૂ કરવા માટે ગુજરાત અગ્રેસર રાજ્ય રહ્યું છે, જેમાં સૌર ઉર્જાથી ચાલતા સ્પિનિંગ વ્હીલ્સ (રેટિંયા)માંથી ખાદી બનાવવામાં આવે છે અને કારીગરોમાં તેનું વિતરણ કરવામાં આવે છે.

નરેન્દ્ર મોદીએ 27 ઑગસ્ટ, 2022ના રોજ અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે યોજાયેલા ખાદી ઉત્સવમાં ભાગ લીધો હતો, જેમાં 7500 મહિલાઓએ એકસાથે સ્પિનિંગ વ્હીલ (રેંટિયા) પર સૂતર કાંતિને ઇતિહાસ રચ્યો હતો.

ખાદી ઉદ્યોગની વધતી શક્તિમાં મહિલા શક્તિનો ફાળો ઘણો મોટો છે. ગુજરાતમાં ‘સખી મંડળો’નું વિસ્તરણ આ બાબતની સાક્ષી પૂરે છે. ગુજરાતમાં આવા મંડળોમાં 26 લાખ કરતાં પણ વધુ ગ્રામીણ મહિલાઓ જોડાયેલી છે, જે અંતર્ગત 2.60 લાખથી વધુ સ્વ-સહાય સમૂહોની રચના કરવામાં આવી છે.

ખાદીને ફેશનના વસ્ત્ર તરીકે સ્થાન આપવાનો KVICનો મુખ્ય ઉદ્દેશ્ય એ નરેન્દ્ર મોદીનું મુખ્ય આહ્વાન છે. યુવા પ્રેક્ષકો અને વૈશ્વિક બજાર સુધી પહોંચવાના આશય સાથે, ખાદી ઇન્ડિયા દ્વારા તાના રીરી ઓડિટોરિયમ, NIFT ગાંધીનગર ખાતે એક પ્રદર્શન/ફેશન શો- ‘અહેલી ખાદી’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ખાદીને વસ્ત્ર તરીકે લોકપ્રિય બનાવી શકાય અને પરંપરાગત અને તેના પરંપરાગત તેમજ સમકાલિન વસ્ત્ર તરીકેના ઉપયોગને રજૂ કરી શકાય.

2020-21માં સૌથી વધુ નોંધાયેલી ખાદી સંસ્થાઓ ધરાતા ટોચના પાંચ રાજ્યોમાં ગુજરાતે સ્થાન મેળવ્યું છે. રાજ્યમાં 244 ખાદી સંસ્થાઓ નોંધાઇ છે. ખાદીના વેચાણને વિશેષ પ્રોત્સાહન આપવા માટે, KVIC એ “આઝાદી કા અમૃત મહોત્સવ”ના ભાગ રૂપે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ રેલવે સ્ટેશનો પર પ્રદર્શન-કમ-સેલ્સ આઉટલેટ્સ સ્થાપ્યા જેમાં રૂ. 5.14 લાખનું ખાદીનું વેચાણ નોંધાયું હતું.

KVIC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પણ ખાદીના વિશેષ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ISRO અને GST હેડક્વાર્ટર ખાતે અનુક્રમે રૂ. 3.94 લાખ, રૂ. 6.42 લાખ અને રૂ. 2.25 લાખના ખાદીના ઉત્પાદનોનું વેચાણ થયું હતું.

માર્ચ 2022માં, અમેરિકા સ્થિત અગ્રણી ફેશન બ્રાન્ડ પેટાગોનિયાએ ખાદી ડેનિમ માટે ફરીથી ઓર્ડર આપ્યો હતો જેનાથી ખાદીની વૈશ્વિક લોકપ્રિયતાની પુનઃપુષ્ટિ થઇ છે અને ગુજરાતના કારીગરો માટે વધારાનું કામ મળવાની તકનું પણ સર્જન થયું છે. ગુજરાતમાં રાજકોટ ખાતે આવેલી ખાદી સંસ્થા ઉદ્યોગ ભારતી પાસેથી આશરે રૂ. 80 લાખની કિંમતનું 17,050 મીટર ખાદી ડેનિમ કાપડ ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.

પ્રારંભમાં રૂ. 1.08 કરોડના 30,000 મીટરના ખાદી ડેનિમ કાપડની ખરીદીના ઓર્ડરને સફળતાપૂર્વક પૂરો કર્યા પછી આ પુનરાવર્તિત ઓર્ડર આપવામાં આવ્યો છે. પેટાગોનિયા દ્વારા ખાદી ડેનિમની ખરીદી થઇ હોવાથી ખાદીના કારીગરો માટે વધારાના ત્રણ લાખ માનવ કલાકોનું સર્જન થયું છે.