Site icon Revoi.in

ભારતીય કપાસની નિકાસમાં 50 ટકા સુધીનો વધારો થવાની શક્યતાઓ

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ વર્ષે કપાસનું મબલખ ઉત્પાદન થયું છે. વૈશ્વિક બજારમાં કપાસની અછત અને ભારતની ઉચ્ચ ગુણવતાયુક્ત તેમજ નીચા ભાવના કપાસને કારણે વૈશ્વિક બજારમાં ભારતીય કપાસ છવાઈ જાય તેવી પ્રબળ શકયતાઓ છે. ચાલુ નાણાંકીય વર્ષમાં કપાસની નિકાસમાં 50 ટકા સુધીનો વધારો થવાની શક્યતાઓ છે. ફેબ્રુઆરીમાં વિવિધ દેશમાં 38 લાખ કપાસની ગાંસળીનો નિકાસ કરાઈ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સંભવત: 75 લાખ ગાંસડી કપાસની નિકાસ ચાલુ નાણાકીય વર્ષમાં થાય તેવી પણ સંભાવનાઓ છે. ગત વર્ષના ઓકટોબર માસથી વૈશ્વિક બજારમાં કપાસની માંગ અને અછતને કારણે સીધો લાભ ભારતીય કપાસના નિકાસકારોને થાય તેવું મનાઇ રહ્યું છે. ઇન્ડિયન કોટન એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર, ભારતીય કપાસ અમેરિકા, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોના કપાસની સરખામણીએ ખૂબ સસ્તું હોવાથી નિકાસ માટે ભારત પાસે મોકળું મેદાન છે. છેલ્લા દસ દિવસમાં ફક્ત ચાઈનાએ ભારત પાસે 10 લાખ ગાંસળીનો ઓર્ડર મંગાવ્યો છે. પાકિસ્તાનમાં પણ હાલ કપાસની અછત વર્તાય રહી છે ત્યારે પાકિસ્તાને પણ ભારત પાસેથી કપાસ લેવાની ફરજ પડશે અને તેવા સમયે જો બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધો ફરી વાર શરૂ થાય તો ભારતને કપાસની નિકાસમાં ખૂબ મોટો ફાયદો થઈ શકે છે.

કપાસના નિકાસકારના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી માસના અંત સુધીમાં ભારતે ચાઇના,બાંગ્લાદેશ અને વિયેતનામ સહિતના દેશોમાં 38 લાખ કપાસની ગાંસળીનો નિકાસ કર્યો છે અને વધુ સાત લાખ ગાંસડીના નિકાસના કોન્ટ્રાક્ટ પણ સાઈન કર્યા છે.