મુંબઈ, 28 એપ્રિલ, 2028: દેશની આર્થિક રાજધાની મુંબઈના મીરા રોડ વિસ્તારમાં બે સુરક્ષાકર્મીઓ પર લઘુમતી કોમના યુવાનો નામ અને ધર્મ પૂછ્યા બાદ હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર મહારાષ્ટ્રમાં સનસનાટી મચી ગઈ છે. પોલીસે આ બનાવમાં આરોપીને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ઘટનાની ગંભીરતાને જોતા હવે તપાસ મુંબઈ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડને સોંપવામાં આવી છે. પોલીસને આ ઘટના પાછળ ‘લોન વુલ્ફ’ હુમલાનો શંકા છે. ઝડપાયેલા આરોપી પાસેથી મળેલી શંકાસ્પદ નોટ્સમાં ISIS, જેહાદ અને ગાઝા જેવા શબ્દોનો ઉલ્લેખ મળતા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે વહેલી સવારે આશરે 4 વાગ્યે મીરા રોડના નયા નગર વિસ્તારમાં એક નિર્માણાધીન બિલ્ડિંગ પર ફરજ બજાવતા બે ગાર્ડ, રાજકુમાર મિશ્રા અને સુબ્રતો સેન પર હુમલો થયો હતો. આરોપી ઝુબેર અંસારી (ઉ.વ. 31) એ પહેલા ગાર્ડ્સના નામ અને ધર્મ પૂછ્યા હતા. ત્યારબાદ તેણે ગાર્ડ્સને ‘કલમા’ પઢવા દબાણ કર્યું હતું. ગાર્ડ્સે ના પાડતા જ આરોપીએ ચાકુ વડે તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક ગાર્ડને ગંભીર ઈજાઓ પહોંચી છે, જોકે બંનેની હાલત હાલ સ્થિર છે.
તપાસ દરમિયાન આરોપી ઝુબેર અંસારી પાસેથી ચોંકાવનારી વિગતો મળી છે. તેના કબજામાંથી મળેલી ચિઠ્ઠીઓમાં લખ્યું હતું કે, લોન વુલ્ફ તમારા પર તરાપ મારશે, તમે મુશરિકો હવે હિન્દમાં સાચો જેહાદ જોશો. આ ઉપરાંત, નોટ્સમાં ગાઝાની આઝાદી અને ધાર્મિક કટ્ટરતાને લગતી વાતો પણ લખવામાં આવી હતી. આ પુરાવાઓ સૂચવે છે કે આરોપી સોશિયલ મીડિયા અથવા પ્રતિબંધિત સંગઠનોથી પ્રભાવિત થઈને કટ્ટરપંથી બન્યો હોઈ શકે છે.
નયા નગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઘટનાના ગણતરીના કલાકોમાં જ ઝુબેરની ધરપકડ કરી લીધી હતી. હવે એટીએસએ તપાસ કરી રહી છે કે મુંબઈમાં આવા બીજા કેટલા ‘સ્લીપર સેલ્સ’ અથવા કટ્ટરપંથી તત્વો સક્રિય છે જે ‘લોન વુલ્ફ’ હુમલાની ફિરાકમાં હોય. આ ઉપરાંત આરોપીની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
આ પણ વાંચોઃ ધાર્મિક નિયમો ક્યારેય પણ ભારતીય બંધારણની સીમાઓની બહાર હોઈ શકે નહીં: સુપ્રીમ કોર્ટ

