ધાર્મિક નિયમો ક્યારેય પણ ભારતીય બંધારણની સીમાઓની બહાર હોઈ શકે નહીં: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 28 એપ્રિલ 2026: સુપ્રીમ કોર્ટે મંગળવારે સબરીમાલા કેસ સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન એક અત્યંત મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોઈપણ ધાર્મિક સંસ્થાના સંચાલન કે વ્યવસ્થાપનના અધિકારનો અર્થ ‘અરાજકતા’ હોઈ શકે નહીં. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે દરેક સંસ્થાના કામકાજ માટે એક નિશ્ચિત વ્યવસ્થા અને માપદંડ હોવા અનિવાર્ય છે.
જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી પીઠે જણાવ્યું હતું કે ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર અને સંસ્થાના મેનેજમેન્ટ વચ્ચે સંતુલન હોવું જરૂરી છે. બેન્ચમાં સામેલ જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહે ટિપ્પણી કરી હતી કે, “મેનેજમેન્ટના અધિકારનો અર્થ એવો નથી કે ત્યાં કોઈ માળખું જ ન હોય. પૂજા કરવાની રીત અને કાર્યોનો એક ક્રમ હોવો જોઈએ. કોઈએ તો આનું નિયમન કરવું જ પડશે, કારણ કે દરેક વ્યક્તિ પોતાની મનમરજી મુજબ વર્તી શકે નહીં.”
અદાલતે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે ધાર્મિક નિયમો ક્યારેય પણ ભારતીય બંધારણની સીમાઓની બહાર હોઈ શકે નહીં. જસ્ટિસ અમાનુલ્લાહે ઉમેર્યું કે, “નિયમો જરૂરી છે, પરંતુ તે બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન કરી શકે નહીં. વ્યાપક બંધારણીય માપદંડો પર કોઈ પણ પ્રકારનો ભેદભાવ સ્વીકાર્ય નથી.” સુનાવણી દરમિયાન હજરત ખ્વાજા નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ સાથે જોડાયેલા પક્ષકારો તરફથી દલીલો રજૂ કરવામાં આવી હતી. એડવોકેટ નિઝામ પાશાએ દલીલ કરી હતી કે દરગાહ એ શ્રદ્ધાનું કેન્દ્ર છે અને સૂફી વિચારધારામાં તે સ્થાન પ્રત્યે ઊંડી આસ્થા હોય છે. તેમણે આ વ્યવસ્થાને ‘ધાર્મિક સંપ્રદાય’નો ભાગ ગણાવી હતી.
સપ્ટેમ્બર 2018માં પાંચ જજની બેન્ચે સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવ્યો હતો અને આ પ્રથાને અસંબંધારણીય ગણાવી હતી. હાલની સ્થિતિએ નવ જજોની લાર્જર બેન્ચ ધાર્મિક સ્વતંત્રતા અને તેનાથી જોડાયેલા વ્યાપક કાયદાકીય મુદ્દાઓ પર સુનાવણી કરી રહી છે. ન્યાયતંત્ર માટે કોઈપણ ધાર્મિક પ્રથા અનિવાર્ય છે કે નહીં તે નક્કી કરવું હંમેશા પડકારજનક રહ્યું છે, પરંતુ સુપ્રીમ કોર્ટની આ તાજેતરની ટિપ્પણી સૂચવે છે કે ધર્મના નામે મનસ્વી રીતે નિયમો બનાવી શકાય નહીં અને બંધારણ સર્વોપરી રહેશે.
આ પણ વાંચોઃ પાકિસ્તાન પાસે માત્ર 5 દિવસનો જ ક્રૂડ ઓઈલ સ્ટોક બાકી, પેટ્રોલિયમ મંત્રીએ ભારતની કરી પ્રશંસા


