મુખ્યમંત્રી સહિત ભાજપના ટોચના હોદ્દેદારો સાંજે ખાનપુર પહોંચી જીતની ઉજવણી કરશે
ગાંધીનગર, 28 એપ્રિલ, 2026 – ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ રહ્યા છે અને તેમાં સત્તાધારી ભાજપને લગભગ દરેક સ્તરે વિજય મળી રહ્યો છે ત્યારે હમણાં જ મળતા અહેવાલ અનુસાર આ જીતની ઉજવણી અમદાવાદમાં પક્ષના કાર્યાલય ખાનપુર ખાતે થશે.
અહેવાલ અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત ટોચના હોદ્દેદારો આજે મંગળવારે સાંજે અમદાવાદ ખાનપુર કાર્યાલય પહોંચશે. સાંજે 5.30થી 6.00 વાગ્યે આ ટોચના નેતાઓ પહોંચશે અને ત્યાં ભાજપના વિજેતા ઉમેદવારો ઉપરાંત પક્ષના કાર્યકરોની સાથે વિજય ઉત્સવમાં સામેલ થશે.
આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની હાઈલાઈટ્સ, કોણ હાર્યુ, કોણ જીત્યું
દરમિયાન, સમગ્ર રાજ્યમાંથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ સતત આવી રહ્યા છે. બપોરે બે વાગ્યા સુધીમાં સત્તાધારી ભાજપે તમામ 15 મહાનગરપાલિકા, 84માંથી 46 નગરપાલિકા ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં મોટાભાગની બેઠકો ઉપર વિજય મેળવી લીધો છે.
સામે કોંગ્રેસને ધાર્યું પરિણામ મળ્યું નથી, છતાં ઘણી બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારોએ જીત મેળવી છે અને હજુ કેટલીક બેઠકો ઉપર સ્પર્ધકોને ટક્કર આપી રહ્યા છે.
અહેવાલ અનુસાર આમ આદમી પાર્ટીને સુરતમાં હજુ સુધી એકપણ બેઠક મળી નથી, પરંતુ રાજ્યની પાંચ પંચાયતોમાં તેની જીત થઈ છે. એ જ રીતે કઠલાલ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટી પણ પાંચ બેઠક ઉપર વિજેતા બની છે.
આ વખતે અસદુદ્દીન ઓવૈસીના એ.આઈ.એમ.આઈ.એમ. પક્ષને પણ થોડી બેઠકો મળી હોવાનું અત્યાર સુધીના અહેવાલોથી સ્પષ્ટ થાય છે.


