Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ મહાવિકાસ અઘાડીમાં જોડાવાનું આમંત્રણ આપનાર ઉદ્ધવ ઠાકરને ગડકરીનો કરારો જવાબ

Social Share

મુંબઈઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીને પણ તેમની સાથે જોડાવા માટે ઓફર કરી છે. જોકે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉદ્ધવ ઠાકરેના નિવેદનને અપરિપક્વ અને હાસ્યાસ્પદ ગણાવ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્ધવ ઠાકરેએ ગડકરીને MVA સાથે આવવાની ઓફર કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો ગડકરીનું અપમાન થઈ રહ્યું છે તો તેમણે ભાજપ છોડીને મહા વિકાસ અઘાડીમાં જોડાઈ જવું જોઈએ. ઉદ્ધવે કહ્યું હતું કે, તેઓ ગડકરીની જીત સુનિશ્ચિત કરશે અને જ્યારે તેમની સરકાર સત્તામાં આવશે, ત્યારે તેઓ ગડકરીને મંત્રી બનાવશે અને તે સત્તા સાથેનું પદ હશે.

પૂર્વ મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના પુસદમાં એક રેલીને સંબોધતા ઠાકરેએ કહ્યું કે, કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા કૃપાશંકર સિંહ જેવા લોકો કે જેમને ભાજપે કથિત ભ્રષ્ટાચારને લઈને નિશાન બનાવ્યાં હતા. તેઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા પરંતુ ગડકરીનું નામ ખૂટે છે

નીતિન ગડકરીએ ઉદ્ધવ ઠાકરેની ઓફરને અપરિપક્વ અને હાસ્યાસ્પદ ગણાવી છે. તેમણે કહ્યું કે, ભાજપમાં ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની વ્યવસ્થા છે. ઉદ્ધવના નિવેદન વિશે પૂછવામાં આવતા ગડકરીએ કહ્યું કે, શિવસેનાના નેતાએ ભાજપના નેતાઓની ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે ઠાકરેનું સૂચન આગામી લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં ટિકિટ વિતરણ પર ભાજપની ચર્ચા પહેલા આવ્યું છે.