Site icon Revoi.in

મહારાજા કૃષ્ણકુમારજી ભાવનગર યુનિવર્સિટીઃ કોરોનાની વેક્સિન લેનારા વિદ્યાર્થીઓને 5 માર્ક્સનું ગ્રેસિંગ આપશે

Social Share

ભાવનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, હવે રાજ્યમાં માત્ર બે આંકડામાં જ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા સરકારે વેક્સિનેશન વધુને વધુ થાય તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારજી યુનિ.ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. કે, કોરોનાની રસી લેનારા વિદ્યાર્થીને 5 માર્કનું ગ્રેસિંગ અપાશે. વિદ્યાર્થી ઇન્ટર્નલ પરીક્ષામાં નાપાસ થયો હશે અને રસી લીધી હશે તો પણ ગ્રેસિંગનો લાભ મળશે.

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ જે વિદ્યાર્થી ઇન્ટર્નલ પરીક્ષામાં નાપાસ થયા હોય અને કોરોનાની રસી લીધી હોય તો તેવા વિદ્યાર્થીઓએ પ્રમાણપત્રની સાથેની અરજી નિયામકને આપવાની રહેશે. કોરોનાની રસીનું પ્રમાણપત્ર હશે તેને જ ગ્રેસિંગમાં પાંચ માર્ક્સનો લાભ આપવામાં આવશે. 2013 પછીના વિદ્યાર્થીની પરીક્ષા લેવા કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું.

વર્ષ 2013 પછીના કિસ્સામાં વિદ્યાર્થીઓ માટે ખાસ કિસ્સામાં પરીક્ષા લેવા માટે કમિટીની રચના કરવામાં આવી હતી. એપ્રેન્ટિસની ભરતી માટે લેવાયેલી પરીક્ષાનું સીલબંધ કવર પણ ખોલવામાં આવ્યું હતું. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિ. તેમજ અન્ય નેશનલ કે ઇન્ટરનેશનલ સંસ્થાઓ સાથે એમઓયુ કરવા માટે ત્રણ સભ્યની કમિટિની રચના કરવામાં આવી હતી. જેમાં કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડાએ કેરી ફોરવર્ડ કરવાના લીધેલા નિર્ણયને બહાલી આપવામાં આવી હતી. તેમજ ટાટમ કોલેજમાં બીસીએનો અભ્યાસક્રમ બંધ કરવાની રજૂઆતને મંજૂર કરવામાં આવી હતી. સાથે યુનિ.માં ભણી ગયેલા તમામ વિદ્યાર્થીઓ આદાનપ્રદાન કરી શકે એ હેતુથી એલ્યુમ્ની એસોસિયેશનને સક્રિય કરવા બાબતે પણ નિર્ણય કરવામાં આવ્યો હતો.