નવી દિલ્હી, 16 માર્ચ 2026: ઓડિશાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, SCB મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ટ્રોમા કેર યુનિટમાં આજે વહેલી સવારે લાગેલી આગે ભારે તાંડવ મચાવ્યો છે. આ ભયાનક દુર્ઘટનામાં ICUમાં સારવાર લઈ રહેલા 10 નિર્દોષ દર્દીઓના કરુણ મોત નીપજ્યા છે, જેના કારણે સમગ્ર દેશમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સોમવારે વહેલી સવારે અંદાજે 2:30 થી 3:00 વાગ્યાના અરસામાં ટ્રોમા કેર સેન્ટરના પહેલા માળે આવેલા ICUમાં શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ સમગ્ર વોર્ડમાં ધુમાડાના ગોટા છવાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10થી વધુ દર્દીઓના મોતની પુષ્ટિ થઈ છે. જેમાંથી 7 દર્દીઓના મોત ICUની અંદર ગૂંગળામણ અને દાઝી જવાથી થયા હતા, જ્યારે અન્ય દર્દીઓએ અન્ય વોર્ડમાં શિફ્ટ કરતી વખતે જીવ ગુમાવ્યો હતો.
હોસ્પિટલના કર્મચારીઓએ જીવના જોખમે દર્દીઓને બચાવવાની કામગીરી કરી હતી, જેમાં હોસ્પિટલના 11 કર્મચારીઓ પણ દાઝી જવાથી ઘાયલ થયા છે. દુર્ઘટનાની જાણ થતા જ ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી અને આરોગ્ય મંત્રી મુકેશ મહાલિંગ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ રૂબરૂમાં સ્થિતિની સમીક્ષા કરી હતી અને સારવાર લઈ રહેલા અન્ય દર્દીઓની મુલાકાત લીધી હતી. સાથે જ દુર્ઘટના મામલે ન્યાયિક તપાસના આદેશ આપ્યાં છે.
મુખ્યમંત્રીએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવતા ન્યાયીક તપાસના આદેશો આપ્યા છે. ઘટનાના મૂળ સુધી પહોંચવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માટે ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મૃતકોના શોકમગ્ન પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી 25 લાખ રૂપિયા ની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની તમામ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના સાધનોની તાત્કાલિક તપાસ કરવા અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “આ અત્યંત હૃદયદ્રાવક ઘટના છે. જે પણ વ્યક્તિની બેદરકારી સામે આવશે, તેને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.”

