Site icon Revoi.in

ભ્રષ્ટાચારનો પર્દાફાશ: લલ્લુજી એન્ડ સન્સે કુંભમેળામાં 109 કરોડનું કૌભાંડ આચર્યું

Social Share

પ્રયાગરાજ: વર્ષ 2019માં પ્રયાગરાજમાં યોજાયેલા કુંભમેળામાં મોટા પાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. 109 કરોડના ભ્રષ્ટાચાર મામલે 11 સામે તપાસનો આદેશ થયો છે. તંબુના કોન્ટ્રાક્ટરે નકલી બિલ રજૂ કર્યા હતા. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વર્ષ 2019માં યોજાયેલા કુંભમેળામાં ભ્રષ્ટાચાર થયો હતો. 109 કરોડના નકલી બિલ રજૂ કરીને પેમેન્ટ ખોટી રીતે મેળવ્યાનો દાવો થયો હતો. કુંભ મેળામાં ઘણાં વર્ષોથી તંબુની સુવિધા આપનારી કંપની લલ્લુજી એન્ડ સન્સે જ કથિત રીતે મોટો ભ્રષ્ટાચાર આચર્યો હતો.

આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયા બાદ પ્રયાગરાજ કુંભમેળા સમિતિએ 5 વર્ષ માટે કંપનીને બ્લેકલિસ્ટ કરી છે. સમિતિના અધિકારીઓએ કહ્યું હતું કે 27મી ફેબ્રુઆરી 2019 થી 6 જુલાઇ 2019 વચ્ચે આ કંપની અને તેના ભાગીદારોએ કુલ 196 કરોડ રૂપિયાના બિલ રજૂ કર્યા હતા. એમાં ભ્રષ્ટાચાર થયું હોવાનું સામે આવ્યું હતું.  પ્રારંભિક તપાસમાં માલુમ પડ્યું હતું કે 86 કરોડના બિલ બરાબર હતા, પરંતુ 109 કરોડના વાઉચર અને બિલ નકલી હતા. ટેન્ટની સર્વિસના ખોટા બિલ રજૂ કરીને કંપનીએ પેમેન્ટની માગણી કરી હતી.

કંપનીએ અલગ અલગ સમયે કુંભમેળા સમિતિ પાસેથી 171 કરોડ રૂપિયાનું પેમેન્ટ મેળવી લીધું હતું. એ પછી જ્યારે અંતિમ હિસાબ મંડાણો ત્યારે કૌંભાડનો પર્દાફાશ થયો હતો. કુંભમેળા સમિતિના આયોજક દયાનંદ પ્રસાદે દારાગંજ પોલીસ સ્ટેશને કંપની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે કચ્છમાં વાર્ષિક સ્તરે યોજાતા રણોત્સવમાં પણ આ જ લલ્લુજી એન્ડ કંપની ટેન્ટ સુવિધા આપવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે.

(સંકેત)