કોલકાતા, 8 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળના હલ્દિયામાં ભારતીય નૌસેના એક નવું વ્યૂહાત્મક નૌસેનિક મથક તૈયાર કરી રહી છે. હલ્દિયા પોર્ટ ઓથોરિટીના સહયોગથી તૈયાર થઈ રહેલી આ સુવિધાનો મુખ્ય હેતુ દરિયાઈ સરહદની સુરક્ષા વધારવા અને પડોશી દેશોની શંકાસ્પદ ગતિવિધિઓ પર અંકુશ મેળવવાનો છે.
ઝડપી જહાજોની થશે તૈનાતી
આ નૌસેનિક મથક પર વિશેષ કરીને ફાસ્ટ ઈન્ટરસેપ્ટર ક્રાફ્ટ અને ફાસ્ટ એટેક ક્રાફ્ટ જેવા નાના પરંતુ અત્યંત ઝડપી જહાજો તૈનાત કરવામાં આવશે. આ જહાજો દરિયાઈ ઘૂસણખોરી રોકવા અને તટીય સુરક્ષા માટે આદર્શ માનવામાં આવે છે. હલ્દિયામાં નૌસેના માટે એક વિશેષ જેટી બનાવવામાં આવી રહી છે, જેથી કટોકટીના સમયે જહાજોને ઝડપથી સમુદ્રમાં રવાના કરી શકાય.
તાજેતરમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સંરક્ષણ સંબંધો ગાઢ બન્યા છે, સાથે જ બંગાળની ખાડીમાં ચીનની વધતી હાજરી ભારત માટે ચિંતાનો વિષય છે. હલ્દિયામાં નૌસેનાની સક્રિય હાજરીથી ભારત આ ‘ત્રિકોણ’ (ચીન-પાક-બાંગ્લાદેશ) ની હિલચાલ પર કડક નજર રાખી શકશે. અત્યાર સુધી નૌસેનાના જહાજોને કોલકાતાથી હુગલી નદીની લાંબી મુસાફરી કરવી પડતી હતી, જે હવે હલ્દિયા બેઝના કારણે ટૂંકી થશે અને પ્રતિસાદ સમય ઘટશે.
દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારતનો દબદબો વધશે
નૌસેનાના પ્રથમ પ્રશિક્ષણ સ્ક્વોડ્રનના ચાર યુદ્ધ જહાજો INS તીર, INS શાર્દુલ, INS સુજાતા અને ICGS સારથી ટૂંક સમયમાં સિંગાપોર, ઇન્ડોનેશિયા અને થાઈલેન્ડની મુલાકાતે રવાના થઈ રહ્યા છે. આ પ્રવાસથી દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારતનો પ્રભાવ વધશે અને મિત્ર દેશો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે.
આ પણ વાંચોઃ રાજસ્થાનમાં મિડ-ડે મીલ યોજનામાં રૂ. 2000 કરોડનું મહાકૌભાંડ: ACBનો સકંજો

