પ્રયાગરાજ, 20 જાન્યુઆરી, 2026: Notice to Swami Avimukteswaranand યુપીના પ્રયાગરાજમાં મૌની અમાસના પવિત્ર અવસરે જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને રોકવામાં આવ્યા બાદ સર્જાયેલો વિવાદ હવે વધુ વકર્યો છે. આ મામલે પ્રયાગરાજ મેળા વહીવટીતંત્રે મોડી રાત્રે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને એક કારણદર્શક નોટિસ જારી કરી છે, જેમાં તેમને 24 કલાકની અંદર ખુલાસો રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
મેળા વહીવટીતંત્રના ઉપાધ્યક્ષ દ્વારા આપવામાં આવેલી આ નોટિસમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ જ્યોતિષપીઠના પદના કાયદાકીય વિવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોટિસમાં જણાવાયું છે કે, બ્રહ્મલીન સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી અને સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી વચ્ચેનો મામલો હજુ સર્વોચ્ચ અદાલતમાં વિચારાધીન છે.
કોર્ટે અગાઉ આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી અપીલનો નિકાલ ન આવે, ત્યાં સુધી કોઈ પણ ધર્માચાર્ય જ્યોતિષપીઠના શંકરાચાર્ય તરીકે પટ્ટાભિષેક કરી શકે નહીં. વહીવટીતંત્રએ સવાલ ઉઠાવ્યો છે કે, જ્યારે મામલો કોર્ટમાં છે ત્યારે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે શિબિરમાં લગાવેલા બોર્ડ પર પોતાની જાતને શંકરાચાર્ય તરીકે કેવી રીતે પ્રદર્શિત કર્યા? વહીવટીતંત્રના મતે આ કૃત્ય સુપ્રીમ કોર્ટના આદેશની અવહેલના સમાન છે.
બીજી તરફ, આ નોટિસ પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આકરા પ્રહાર કર્યા છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજીને સ્પષ્ટ કર્યું હતું કે કોણ શંકરાચાર્ય છે તે નક્કી કરવાનો અધિકાર વહીવટીતંત્ર કે ભારતની સર્વોચ્ચ સંસ્થાના વડા પાસે પણ નથી.
તેમણે શાસ્ત્રીય પરંપરાનો હવાલો આપતા જણાવ્યું કે શૃંગેરી અને દ્વારકા પીઠના શંકરાચાર્યો તેમને સ્વીકારે છે અને ગત મેળામાં તેમની સાથે શાહી સ્નાન પણ કરી ચૂક્યા છે. સ્વામીજીએ આ નોટિસને દૂષિત ભાવનાથી પ્રેરિત ગણાવી છે અને પદના દાવેદારોને ખુલ્લા શાસ્ત્રાર્થનો પડકાર ફેંક્યો છે. હાલમાં 24 કલાકની સમયમર્યાદા વચ્ચે પ્રયાગરાજમાં ધાર્મિક અને વહીવટી તણાવ જળવાયેલો છે.

