Site icon Revoi.in

24 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીને લઈને થયેલી ભવિષ્યવાણી પડી સાચી

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નીમિતે વર્ષો સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તેમની સાથે કાર્યકર તરીકે કામ કરનારા બાવળાના કનુભાઈ જોશીએ જુની યાદો તાજી કરીને તેમના લાંબા અને સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી. તેમજ કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી દ્રઢ ઈચ્છાશક્તિ ધરાવે છે અને તેઓ જે પણ સંકલ્પ કરે છે તે પૂર્ણ ના થાય ત્યાં સુધી તેની ઉપર કામ કરે છે. વર્ષો વહેલા નરેન્દ્રભાઈને સત્તા મળશે તેવી ભવિષ્યવાણી કરી હતી જે 24 વર્ષ બાદ સાચી પડી હતી.

કનુભાઈ જોશીએ જણાવ્યું હતું કે, બાવળામાં એક સામાન્ય કાર્યકર છું. તેમની સાથે પ્રથમવાર સંઘના જ એક કાર્યક્રમમાં વર્ષ 1971-72માં મુલાકાત થઈ હતી. તેઓ વર્ષ 1977 ગાંધીનગર વિભાગમાં પ્રચારક બન્યાં હતા. તેમના વિભાગમાં ગાંધીનગર, અમદાવાદ અને સાબરકાંઠા આવતું હતું. જેથી મહિનામાં બે વખત બાવળાની મુલાકાત લેતા હતા અને સંઘના કાર્યકરો સાથે ચર્ચા કરતા હતા. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન બન્યાં છતા તેઓ અમને ભુલ્યાં નથી. ગુજરાતમાં તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે અનેકવાર મળવાનું થતું હતું. પરંતુ વડાપ્રધાન બન્યાં બાદ એક-બે વખત દિલ્હીમાં મુલાકાત થઈ હતી.

તેમણે વધુમાં કહ્યું કે, નરેન્દ્ર મોદીએ 1970ના દાયકામાં મને કહ્યું હતું કે મને સત્તાનો જરા પણ મોહ નથી મારે સમાજની સેવા કરવી છે. તેમજ નરેન્દ્ર મોદી સંગઠનને વધારે મજબુત બનાવવા માંગતા હતા. વર્ષ 1977માં મે તેમને કહ્યું હતું કે, તમે ભવિષ્યમાં ગુજરાત અને દેશની સત્તામાં આવશો. વર્ષ 2001માં રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈની પસંદગી થઈ ત્યારે અમારામાં ખુશી ફેલાઈ હતી. નરેન્દ્ર મોદીએ પ્રથમવાર સીએમ તરીકેના શપથ લીધા બાદ બીજા દિવસે હું તેમને મળવા ગાંધીનગર ગયો હતો. તે સમયે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વર્ષો પહેલા કરેલી તમારી આગાહી સાચી પડી છે. વર્ષોથી નરેન્દ્રભાઈ શિસ્ત અને સ્વચ્છતામાં માનતા આવ્યાં છે. જેથી તેમની પાસેથી અમે પણ શિસ્ત અને સ્વચ્છતા વિશે શીખવા મળ્યું હતું. નરેન્દ્રભાઈના દૂરંદેશીથી જ ગુજરાતમાં
આટલો ઝડપી વિકાસ થયો છે જેની દેશ-દુનિયાએ નોંધ લીધી છે.