Site icon Revoi.in

બિન-કોંગ્રેસી નેતા ત્રીજી વખત વડાપ્રધાન બન્યાં તે વિપક્ષ સહન નથી કરી શક્યું : PM મોદી

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે NDA સાંસદો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વડાપ્રધાને NDA સાંસદોને સંસદીય નિયમો અને સંસદીય આચારનું પાલન કરવાની અપીલ કરી હતી. વડાપ્રધાને કહ્યું કે ‘વિપક્ષ બિનકોંગ્રેસી નેતા સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યાં તે સહન કરી શકતું નથી.’

NDA સાંસદોની બેઠકને સંબોધતા વડાપ્રધાન મોદીએ NDA સાંસદોને વરિષ્ઠ સભ્યો પાસેથી સંસદમાં શ્રેષ્ઠ પ્રથાઓ વિશે શીખવાની અપીલ કરી હતી. PM મોદીની આ અપીલ સોમવારે લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પછી આવી છે, જેને NDAએ સૌથી બેજવાબદાર ભાષણ ગણાવ્યું છે. બેઠક બાદ પત્રકારોને સંબોધતા સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ સાંસદોને સંસદીય મુદ્દાઓનો અભ્યાસ કરવા, સંસદમાં નિયમિતપણે હાજરી આપવા અને તેમના મતવિસ્તાર સંબંધિત મુદ્દાઓને અસરકારક રીતે ઉઠાવવા જણાવ્યું હતું. જ્યારે કિરેન રિજિજુને પૂછવામાં આવ્યું કે શું વડાપ્રધાન મોદીએ સોમવારે લોકસભામાં આપેલા રાહુલ ગાંધીના ભાષણનો ઉલ્લેખ કર્યો હતો? તો આના પર રિજિજુએ કહ્યું કે ‘તેમણે એવું કંઈ કહ્યું નથી, પરંતુ જ્યારે દેશના વડાપ્રધાન બોલે છે ત્યારે સંદેશ દરેક માટે હોય છે.’

રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા અને સત્તાધારી પક્ષના નેતાઓ પર લોકોને સાંપ્રદાયિક ધોરણે વિભાજિત કરવાનો આરોપ લગાવ્યો હતો. આનો શાસક પક્ષ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો, વડાપ્રધાન મોદીએ સમગ્ર હિંદુ સમુદાયને હિંસક કહેવા માટે કોંગ્રેસના નેતા પર પ્રહારો કર્યા હતા. રિજિજુએ કહ્યું કે એનડીએની બેઠકમાં એનડીએના નેતાઓએ મોદીને તેમના ‘ઐતિહાસિક’ ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન આપ્યા હતા. વડા પ્રધાને સાંસદોને મીડિયા સમક્ષ ટિપ્પણી કરતાં પહેલાં કોઈપણ મુદ્દાનો અભ્યાસ કરવા કહ્યું અને કહ્યું કે તેઓએ તેમના મતવિસ્તારોના સંપર્કમાં રહેવું જોઈએ અને તેમના સમર્થન માટે મતદારોનો આભાર માનવો જોઈએ.