Site icon Revoi.in

તાઉ-તેના ડરથી લોકો ભારે હૈયે રડતા રડતા ઘર છોડી સ્થળાંતર કરવા તૈયાર થયા

Social Share

વેરાવળઃ તાઉ-તે’ વાવાઝોડાએ સૌરાષ્ટ્રના સાગરકાંઠાના લોકોને ભયભીત કરી મુક્યા છે. હજુ કોરોનાનો ડર ઓછો થયો નહતો ત્યાં જ વાવાઝોડાના ડરથી લોકો ફફડી ગયા છે. જેમાં ખાસ કરી દરિયાઇ વિસ્તારમાં 10 નંબરનું સિગ્નલ લાગતાં લોકોને સાવચેત રહેવા અને સ્થળાંતર કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. સોમનાથમાં રવિવાર સાંજ સુધીમાં 2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આજે ત્રિવેણી રોડ પરના ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોરોનાના ડર વચ્ચે વાવાઝોડાએ લોકોને ઘરનું ઘર છોડવા મજબૂર કર્યા છે. લોકો માથે પોટલા અને કાંખમાં છોકરાં લઇ દહેશત વચ્ચે સુરક્ષિત સ્થળે પહોંચી રહ્યા છે.

તાઉ-તે વાવાઝોડાએ  સૌને ડરાવી મુક્યા છે. આજે વહેલી સવારે દરિયાઇ વિસ્તારમાં 10 નંબરનું મહાભય સિગ્નલ આપવામાં આવતાં તંત્ર દ્વારા સોમનાથના ત્રિવેણી રોડ પર આવેલી 35 જેટલી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા 100થી વધુ પરિવારોનું સોમનાથ સંસ્કૃતિ ભવન ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યાં લોકો સવારના સમયે પોતાનાં પહેરવાનાં કપડાં અને જરૂરી વસ્તુનાં પોટલાં બાંધી તૈયાર કર્યા હતા અને ઝૂંપડપટ્ટીને તાલપત્રી બાંધી ઘરવખરી પલળે નહીં એ માટે વ્યવસ્થા કરી હતી. લોકો પોતાનાં નાનાં બાળકો કાંખમાં લઇ અને માથે પોટલાં તેમજ હાથમાં થેલા લઇ પગપાળા સલામત સ્થળે જતા નજરે પડ્યા હતા.વાવાઝોડાના ડરે ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારોએ ભારે હૈયે ઘર છોડતા રડી પડ્યા હતા.