Site icon Revoi.in

આતંકી મસૂદ અઝહર પર પાકિસ્તાનનું કબૂલાતનામું : “હા, અહીં છે પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ”

Social Share

ભારત એક લાંબા સમયગાળાથી મસૂદ અઝહરના પાકિસ્તાનમાં હોવાની વાત કહી રહ્યું છે. મસૂદના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર કરવામા આવેલા હુમલાની જવાબદારી લીધી છે. ભારતની વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે તે સતત પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરી રહ્યો છે. પરંતુ પાકિસ્તાનની સરકાર આને હંમેશા રદિયો આપતી રહી છે. હવે ખુદ પાકિસ્તાને કબૂલાત કરી છે કે મસૂદ અઝહર તેને ત્યાં જ છે.

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ સીએનએનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કબૂલાત કરી છે કે પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ તેને ત્યાં જ છે. સવાલ કરવામા આવ્યો હતો કે આખરે મસૂદ અઝહર ક્યાં છે, કુરૈશીએ કહ્યુ હતુ કે જ્યાં સુધી તેમની જાણકારી છે, તે પાકિસ્તાનમાં છે. તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે મસૂદ અઝહર બીમાર છે અને એટલી હદે બીમાર છે કે તે પોતાના ઘરમાંથી બહાર પણ નીકળી શકતો નથી.

મસૂદ અઝહર પર કાર્યવાહી માટેના આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે કુરૈશીએ એવા સંકેત પણ આપ્યા છે કે પાકિસ્તાન આ દિશામાં પગલા ઉઠાવી શકે છે. તેમને પુછવામાં આવ્યું કે આખરે પાકિસ્તાન મસૂદ અઝહરની ધરપકડ કેમ કરતું નથી, તેના કારણે ભારતીય ઉપખંડમાં અશાંતિ છે… તેના જવાબમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાને કહ્યુ છે કે જો મસૂદ અઝહર વિરુદ્ધ પુરાવા મળે છે, તો કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે.

કુરૈશીએ એમ પણ કહ્યુ છે કે પાકિસ્તાન પુરાવા ચાહે છે, જે પાકિસ્તાનની અદાલતમાં કાયદેસરના સાબિત થઈ શકે. જો મસૂદ અઝહરની વિરુદ્ધ એવા પુરાવા મળે છે, તો જરૂરથી કાર્યવાહી કરવામાં આવસે. તેમણે ફરી એકવાર ભારતની સાથે વાતચીત પર ભાર મૂક્યો છે અને એમ પણ કહ્યુ છે કે બંને દેશોની વચ્ચે તણાવ ઓછો કરવામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મહત્વની ભૂમિકા રહી છે.

મહત્વપૂર્ણ છે કે ગુરુવારે વિયતનામમાં ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન સાથે બીજી શિખર બેઠક બાદ પત્રકારોની સાથેની વાતચીતમાં ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનના સંબંધોના સવાલ પર જવાબ આપતા કહ્યુ હતુ કે તેમને ટૂંક સમયમાં કંઈક સારું થવાની આશા છે.