નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: ઉત્તરાખંડમાં પવિત્ર ચારધામ યાત્રાનો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે વૈદિક મંત્રોચ્ચાર અને ‘હર હર મહાદેવ’ના નાદ વચ્ચે બાબા કેદારનાથના કપાટ ખૂલતા જ ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે. આ પાવન અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નામ પત્ર લખીને શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવવાની સાથે ‘જવાબદાર યાત્રી’ બનવા માટે આહ્વાન કર્યું છે.
પીએમ મોદીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, થોડા વર્ષો પહેલા કેદારનાથમાં આવેલી આપત્તિ બાદ આજે ઉત્તરાખંડ વિકાસના નવા માર્ગે આગળ વધી રહ્યું છે. બહેતર રસ્તાઓ, આરોગ્ય સુવિધાઓ અને સંદેશાવ્યવહારને કારણે હવે આ યાત્રા વધુ સુરક્ષિત અને સુલભ બની છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ‘વિકસિત ભારત’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ‘વિકસિત ઉત્તરાખંડ’ અનિવાર્ય છે.
શ્રદ્ધાળુઓને પીએમ મોદીએ વિનંતી કરી છે કે, ધામ અને યાત્રાના માર્ગો પર ગંદકી ન કરવી અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરવો. સ્થાનિક કલાકારો અને નાના વેપારીઓ પાસેથી જ વસ્તુઓ ખરીદીને તેમના આજીવિકાને મજબૂત બનાવવી. હિમાલયની નાજુક ઇકોલોજીનું સન્માન કરવું અને ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણમાં સહયોગ આપવો. જાહેર પરિવહનનો ઉપયોગ: ખાનગી વાહનોને બદલે જાહેર પરિવહનનો ઉપયોગ કરી પર્યાવરણ જાળવવામાં મદદ કરવી. તેમજ સુરક્ષા પ્રોટોકોલ અને યાત્રાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉમેર્યું કે આ યાત્રા માત્ર દર્શન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને મજબૂત કરવાનું માધ્યમ છે.
આ પણ વાંચોઃ કેદારનાથ ધામના કપાટ શુભ મુહૂર્તે ભક્તો માટે ખોલાયાં

