નવી દિલ્હી, 2 માર્ચ 2026: પશ્ચિમી એશિયામાં વધી રહેલા સૈન્ય સંઘર્ષ અને ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના તણાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું છે કે, વર્તમાન કટોકટીનો ઉકેલ માત્ર યુદ્ધ નહીં, પરંતુ ‘સંવાદ અને કૂટનીતિ’ દ્વારા જ શક્ય છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સાથેની મુલાકાત બાદ વડાપ્રધાને વૈશ્વિક સ્થિતિ અને ભારતના હિતો અંગે મહત્વના નિવેદનો આપ્યા હતા.
વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત હંમેશા શાંતિ અને સ્થિરતાનો પક્ષધર રહ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, કોઈપણ પ્રકારના સૈન્ય સંઘર્ષથી પ્રાદેશિક અસ્થિરતા વધે છે, જેની અસર સમગ્ર વિશ્વ પર પડે છે. તમામ પક્ષોએ સંયમ જાળવવો જોઈએ અને વાટાઘાટોના ટેબલ પર પરત ફરવું જોઈએ. વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા ભારત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
કેનેડાના વડાપ્રધાન માર્ક જે. કાર્ની સાથેની દ્વિપક્ષીય વાર્તા બાદ પીએમ મોદીએ એક મોટી જાહેરાત કરી હતી. ભારત અને કેનેડાએ યુરેનિયમ પુરવઠા માટે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. પીએમ મોદીએ ભરોસો આપ્યો હતો કે ભારત શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તમામ સંબંધિત દેશો સાથે સંપર્કમાં છે અને આ દિશામાં રચનાત્મક ભૂમિકા ભજવવા તૈયાર છે. કેનેડા સાથેનો આ નવો વ્યૂહાત્મક કરાર ભારતની આર્થિક અને સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ ઈરાન-ઈઝરાયેલ જંગની ભારત પર અસર: કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એડવાઈઝરી

